પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
ગંગા–ગુર્જર વાર્તા

આવ્યાં છે, ને આજે દીયરજી અને તેમનાં ધણીયાણી આવશે. તે સઘળાં છે, એટલે કશી હરકત નથી. મને આનંદ પણ મળશે ને તમને હરકત પણ નડશે નહિ. હમણાં તમારું મોઢું સદા જ કરમાયલું જોઉં છું, ને તેનું કારણ એ જ કે પૈસાની તાણ છે; પણ વળી તે માટે તમે ફિકર કીધી ? આ જે છે તે કોનું છે ? કાલે કામપર મંડશો તો પૈસા જ પૈસા !”

બેશક આવી માંદગીમાં પણ ગંગાની કાળજી જોઇને કિશેારને ઘણું લાગી આવે, તેમાં આશ્ચર્ય શું છે ? કેશવલાલ ને તુળજાગવરી તથા બીજાં પણ કુટુંબનાં સર્વે માણસો આવી પહોંચ્યાં હતાં; એટલે પછી કિશોરને કામપર જવાને હરકત નહોતી. ગંગાની છાતીમાં ઘણું દુ:ખ થતું હતું, ને તે જ્યારે થતું ત્યારે નહિ ખમાય તેવું હતું. પણ જ્યારે તે પાછી શુદ્ધિમાં આવતી ત્યારે ઘરકામની સઘળી સંભાળ રાખતી હતી. કોઇને કંઇપણ ઓછું પડે નહિ, પોતાને માટે કોઈ પણ દુ:ખી થાય નહિ તે માટે પૂરતી કાળજી રાખતી હતી. સૌને રાજી રાખવાને તે ઘણી ખંતીલી હતી. ચાકરોને પણ ઘણો શ્રમ પડે નહિ તે પણ તપાસતી હતી. ઘરમાં શું છે ને શું નથી, તેપર નજર રાખતી હતી.

આવી વિનયવંત સદ્દગુણી ગંગાના મંદવાડમાં, જેમને તે પ્રેમથી બોલાવે છે તેઓ તેની બરદાસ્ત કરવામાં કશી પણ બેકાળજી રાખે ખરાં કે ? નહિ જ. કેમકે એવું કોઈ જ નહોતું કે જેનાપર ગંગાએ વહાલ બતાવ્યું નહિ હોય, ને એવું પણ કોઈ નહિ હોય કે જે એના ઉપકારમાં ચંપાયેલું નહિ હોય. પડોસના મિત્રો પણ તેના ઋણદાર હતા, કેમકે દરેક બારીક પ્રસંગે સઘળાંની એ બરદાસ્ત લેતી હતી, તેથી તે સઘળાં તો રાત્રિના બાર વાગ્યા સુધી બેસી રહેતાં હતાં. જો કે ગંગાને પીડા ઘણી થતી હતી ને થાન પાકવાથી તેની અનિવાર્ય વેદનાથી એ પીડાતી હતી, તથાપિ જ્યારે કોઇપણ મિત્રના ઘરનાં મળવા આવે ત્યારે બહુ જ પ્રેમાળ વદનથી તેમનો આદરસત્કાર કરતી હતી; તેની ખૂબસૂરતી આ માંદગીમાં ઘણી ઝળકતી હતી; તેના વિનયે સર્વને