પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ગંગા-ગુર્જર વાર્તા


કીધો. પણ સૌંદર્ય સકુમાર એવી ગંગાથી તે કેટલો બોજો ઉચકાય. પણ તેટલામાં મોહનચન્દ્રે આવીને કમળાને ઉંચકી લીધી. તે અને માણસો સાથે મળી તેને માળપર લઈ ગયા. શેઠાણી તો બડબડતી જ રહી ને તે પાછળ આવે, તેટલામાં તો ગંગાના શયનગૃહમાં કમળાને લઈ જઈને એક કોચ ઉપર સૂવાડી. ગંગાના ઓરડામાં માત્ર તે અને કમળા શિવાય બીજું કોઈ હતું નહિ. દિવાનખાનામાં મોહનચન્દ્ર હતા. તેમનાં ધણિયાણી આવ્યાં કે, તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રમાણે પોતાને થતા અપમાનથી શેઠાણી તો ઘણા ક્રોધમાં આવી ગયાં.

આ ખરું છે કે, જ્યાં સૂધી ગુસ્સે થયેલા માણસ સામા કોઇ હોય નહિ ત્યાં સુધી તેનો ગુસ્સો પ્રકટ થતો નથી. પણ જેમ વધારે વખત તે ગુસ્સો રહે છે, તેમ તે વધારે ધુંધવાય છે, ને અંતે બહાર નીકળીને ઘણો શોરબકોર કરે છે. વડી શેઠાણીના સંબંધમાં પણ એમ જ બન્યું.



પ્રકરણ ૪ થું
કમળાના ઉભરા

આ પ્રમાણે મોહનચન્દ્રના કુળનો ઇતિહાસ છે, કે જેમના વડવાઓનાં નામ ઠેઠ દિલ્લી દરબાર સુધી નોંધાયાં છે. શાહના કુટુંબીઓએ પછીથી મોટો વેપાર કીધો, ને રાજ્યનો પણ પૂરતો વિશ્વાસ હોવાથી તેઓ પોતાના વેપારમાં ઘણા વધ્યા. અંગ્રેજ સરકારમાં સારી આબરુ પડી ને સૌ પ્રકારના વિશ્વાસપાત્ર હોવાથી પૈસો પણ પુષ્કળ થયો હતો. તેમની ૧૫ મી પેઢીએ હાલના મોહનચંદ્રનો જન્મ થયો છે. ડોસાને ત્રણ દીકરા ને બે દીકરી, જેમાંની એક વિધવા છે. ડોસો, બાપ દાદા જે થોડું ઘણું મેલી ગયા છે, તેમાંથી પોતાનો ગુજારો કરે છે. પોતે આબરુ તો સારી મેળવેલી, પણ ઘરમાં ભાર્યા કલાંઠ હોવાથી ઘરની આબરુના કાંકરા થયા હતા. તે ધણીને દમવામાં ને ઘરની આબરૂ કાઢવામાં સૌ વાણિયાની ન્યાતમાં પંકાયલી બૈરી હતી. પણ