પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
ઘાશીરામ કોટવાલ.


મુ૦— વૈતાળની સ્વારી નિકળે છે, તે વખત તેની સાથે મશાલો હોય છે, એવી તમારી સમજણ છે; તે જ મુજબની એ મશાલો છે.

ઘા૦— વેતાળના નોકરો મશાલ લઈને જાય છે કે શું ?

મુ૦— એ મશાલો યુરોપખંડની છે, ને ત્યાં તમારા વૈતાળ તથા ભૂતનો પ્રવેશ નથી.

ઘા૦— એ શામાંથી નિકળે છે ?

મુ૦— જેમ આ દેશના લોક સમજે છે કે, પિશાચ આવી મશાલ હાથમાં લઇને સ્મશાન ભૂમિ તથા રણભૂમિ વગેરે ઠેકાણે રાત્રે ભમે છે; તેમ જ તે ખંડના લોકો પણ તે ઉજેશનું કારણ ભૂત છે, એવું સમજીને તેને આગળ ભૂતનું નામ આપેલું હતું.

મ૦— ત્યારે હમણાં શું સમજે છે ?

મુ૦— હમણાં શેાધ કરતાં એવું માલુમ પડ્યું છે કે, ભૂત થકી આ મશાલો નિકળે છે, એવી જે સમજ પહેલાં હતી તે બીલકુલ અજ્ઞાનની જ હતી. એવું અજવાળું નિકળવાનું કારણ એ છે કે, કીચડ તથા ભીંજેલી જગા, તથા ભરાઈ રહેલા પાણીમાં જનાવર તથા ઝાડ સડીને તેમાંથી લાગી ઉઠી ધુમાડો નિકળે છે. તેને અંગ્રેજીમાં “ગ્યાસ” કરીને કહે છે. જ્યારે આવી જગોમાંથી પાણી બહાર કહાડી નાખી, તે જગા કોરી કરે છે, ત્યારે તે ઠેકાણે ખેતી થાય છે. ધુમાડા બંધ થયા શિવાય ઉજેશ નિકળતો નથી. એવી વાતો ઘણા પ્રાંતોમાં બનેલી છે; અને આ ઉજેશ જે જગેથી નિકળે છે, ત્યાં માણસ જાય તો તેના વેગથી તથા મોહોડાના શ્વાસથી, તેની આસપાસની હવા હાલીને, તેની પાસે પહોંચવાથી મશાલો માણસથી દૂર નાસી જાય છે; વાસતે તે જ્યાં હોય, તે ઠેકાણે હળવે હળવે જઇને, તેની તરફ પીઠ કરી હાથમાં કાગળને કડકો લઈ તે દીવેટને લગાડી કોઈ કોઈએ સળગાવી જોયો છે; એવી વાત અનુભવમાં આવી છે. જે ઠેકાણેથી તે ઉજેશ પહેલેા નીકળે છે, તે ઠેકાણે દિવસની વખતે જઇને ત્યાંથી ગ્યાસ એટલે ધુમાડો આપણા ઘરના દીવાને લગાડિએ તે સળગે છે. આ ઉજેશ જમીનથી ત્રણ ફુટ ઉંચો દેખાય છે. ઈટલી દેશમાં આપીનાઇન્સ કરીને પર્વત છે; તેના શિખર ઉપર બરફ સળગીને જ્વાળા નિકળતાં એકાદ આદમીના જોવામાં આવ્યું છે. ઈસવી સન ૧૬૯૩ માં ઈંગ્લંડની પશ્ચિમમાં વેલ્સ કરીને દેશ છે; ત્યાં ઘાસની ગંજી સદરહુ લખેલા પ્રકારના “ગ્યાસ” એટલે ધુમાડાથી બળી ગઇ હતી.