પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
ઘાશીરામ કોટવાલ.

આકાર બિલકુલ દેખાવાનો જ નહીં, ત્યારે માણસના શરીરનો નાશ તમે અગ્નિથી કર્યો, એટલે ભૂમિ તત્ત્વ તો રહ્યું જ નહિ. પછી તેની તમારા જોવામાં આવે એવી આકૃતિ ક્યાંથી થાય? સ્વપ્નમાં જેમ દૂર દેશની ચીજ, તથા આપણા જોવામાં આવેલું માણસ દેખાય છે, તે પ્રમાણે જાગૃત અવસ્થામાં બુદ્ધિમાં કાંઈ ભ્રાંતિ પડી જવાના કારણથી ખેાટી છાયા દેખાય છે. પછી જેવું જેવું મનમાં આવે, તેવી તેવી તે છાયાની આકૃતિ થાય છે, ને ધુતારાઓ ભોળા લોકોને કપટ કરીને પણ ઘણા ફસાવે છે, તેની અનેક વાતો છે.

કો૦— કેટલાક પંચાક્ષરી તથા મંત્રીઓ હથેલીમાં કાજળ ચોપડીને તેમાં પિશાચ બતાવે છે તે શી રીતે ?

મુ૦— તે સધળું ખોટું છે. હથેલીમાં કાજળ લગાડનાર જે મંત્રી હોય છે, તેનો જ નીમેલો માણસ તે હથેલીમાં જોનાર હોય છે તેને શીખવી રાખ્યો હોય છે, તે પ્રમાણે તે બોલે છે. તેથી ભોળા લોકો ઠગાઈ જાય છે. ધંતર મંતર કરનાર લોક એવું કરે છે કે, કોઈ ભોળો માણસ તેના કબજામાં આવ્યો, ને તેને ઘેર કોઈ બિમારીથી પકડાયો હોય અથવા કાંઈ દુઃખથી ઘેરાયો હોય એવી ખબર તે મંત્રીને થઈ, એટલે માણસની ખોપરી અથવા હાડકું અથવા લીંબુ કાપીને તેમાં સીંદૂર ભરીને અથવા બીજા ઘણા પ્રકારો છે, તેમાંના કાંઈ કરીને, ખોપરી અથવા બીજો પદાર્થ કોઇને હાથે તે ભોળા ગૃહસ્થના ઘરમાં, અથવા પરસાળમાં અથવા ઠીક પડે તે જગે દટાવે છે અથવા સંતાડે છે. બાદ મંત્રી કોઇ મારફત અથવા પોતે જાતે જઇને તે ભોળા માણસને, હું ઇલાજ કરું છું, એમ કહે છે. બાદ તેની પાસે કાંઇ ખરચ કરાવી, ધૂપ, નાળિયેર, ફુલ, પાન તથા મેવા મિઠાઈ મંગાવી, મંડળ ભરી, પેાતે આંખના ડોળા કહાડીને પોતામાં કાંઈ આવેશ આવ્યો હોય એમ અથવા બીજું કાંઇ કરીને બોલવા લાગે છે કે, આ ઘરમાં એક માણસને અવલ દાટેલું છે, તે પિશાચ થઈને નડે છે તેનો ઉપાય છે; પણ તે કરવાને ખરચ લાગશે. બાદ પેલો ભોળો મરદ અથવા સ્ત્રી જે હોય, તે ખરચ કરવાનું કબુલ કરે છે. ત્યારે તે કહે છે કે, ભૂત થયલા માણસની ખોપરી આ ઘરની આસપાસ પાંચ હાથના અંતર ઉપર છે, તે મંત્રથી શોધી કહાડીને તેનું વિસર્જન કરવું અથવા બાળી દેવી જોઇયે ને ભૂત થયલા માણસની ગતિ થવી જોઇયે. બાદ ઓરત અથવા મરદ ઘણું બીહે છે, તેથી મંત્રી ટીપ કરી આપે, તે પ્રમાણે કપડાં, પોશાક તથા ખાવાનો પદાર્થ તૈયાર કરે છે. બાદ બીજે દિવસે અથવા ત્રીજે દિવસે અથવા વગ આવે તે પ્રમાણે, તે મંત્રી પેલા ભોળા