પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.

એ બંનેના ધણીઓ એક વર્ષ થયું પરદેશ ગયા છે, ત્યારથી બંને ગર્ભવતી હતી. તે બે ત્રણ દિવસને અંતરે જણીને બેઉને છોકરીઓ અવતરી. ને એ બે જણીઓને હમેશ એક બીજાને ઘેર જવા આવવાનો રફત હતેા. સંતીને બંને જણ સાથે માયા હશે તેથી આ સંતીનું છોકરું છે, એમ તેઓ બતાવે છે, ને જાનબી તરફના ત્રણ શાહેદી એ છોકરું જાનબીનું છે એમ કહે છે; ત્યાર પછી કોટવાલે પોતે બોલવાનું શિરુ કર્યું.

કોટવાલ— અરે સંતી ! જાનબીની તરફના સાક્ષીદાર વધારે છે, તે ઉપરથી તું લબાડ જણાય છે અને જાનબી સાચી છે એમ માલુમ પડે છે. તેં ખોટું તોહમત મુક્યું તે સારું તારી ઢેડ ફજેતી કાહાડવી જોઇએ.

સંતી— મહારાજ ! નહીં; મહારાજ નહીં !! હું જુઠી નથી. જાનબીએ પોતાની છોકરીને ખુદાબક્ષ નાયકણને બસે રૂપીઆ સારુ બે દિવસ પેહેલાં વેચાતી આપી છે. જોઇએ તો એવા બીજા બે સાહેદી હું વધારે લાવું.

કો૦— ખુદાબક્ષ નાયકણને અમે ઓળખીએ છઇએ, તે અવલ મરેઠણ હતી. તે ત્રિકાળ નાહે છે. તેણે બ્રાહ્મણને રસોઇ કરવા રાખેલો છે. બ્રાહ્મણ શિવાય બીજા કોઇના હાથનું પાણી પણ લેતી નથી. તે અપ્રશમાં હમેશ રેહે છે. એકાદશીના ઉપવાસ કરી આખો દહાડો કામળી ઉપર બેસી પુરાણ સાંભળ્યા કરે છે. તેને ઘેર રાતે ફરાળ કરવા સારુ મંડળી આવે છે. બારસને દાહાડે વૈદ તથા શાસ્ત્રી વગેરેને એક એક રૂપીઓ દક્ષણા તથા સીધું આપ્યા શિવાય અન્ન ખાતી નથી. વાસ્તે જાનબી મુસલમાનીનું છોકરું તે લે એવું કદી માનવામાં આવતું નથી. હવે તું એક બીજા કરતાં વધારે સાહેદી આપવા ચાહે છે તેથી તમે બંને ખોટાં છો; વાસ્તે તમે એ છોકરીને બજા નાયકણને હવાલે કરો. તે તેને મેાટી કરી ગાતાં તથા નાચતાં શિખવશે; ને તેનો વંશ ચાલશે.

આ પ્રમાણે, કોટવાલે કહીને બજા નાયકણને બોલાવવા મોકલ્યું. આ તમામ હકીકત બની તે તે જગો,પર ઈદાપુરનો કાજી સૈયદ હમીમુદ્દીન બેઠેલો હતા તેણે જોઇ; ને કોટવાલનો ઇન્સાફ તેને વાજબી લાગ્યો નહીં પણ તે વાત કોટવાલને ખુલી કહી શકાઈ નહીં; તેથી કાજીયે કોટવાલના કાનમાં કહ્યું કે, આ છેાકરી બાબતના ટંટાનો ઇન્સાફ કરવાનું મને કહો તો હું કરું. કાજી ઘરડા હતા તેથી તેનો શખુન કોટવાલે કબુલ રાખ્યો. પછી કાજીએ જે છોકરાં બાબત તકરાર પડી હતી તે છોકરું લઇને પેહેલું સંતીને આપ્યું ને તેહેને ધવડાવવાનું કહ્યું. તે વખતે છોકરું સંતીને વળગી