પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
ઘાશીરામ કોટવાલ.


શાસ્ત્રી— પાખંડ મતવાળા સાથે ભાંજગડ કરવી કામની નથી. હવે સાંજ પડી સંધ્યાનો સમય થયો; વાસ્તે, કોટવાલ સાહેબ, રજા લઉંછું.

પાદ્રી— કોટવાલ સાહેબ, પ્રતિજ્ઞા પ્રમાણે શાસ્ત્રી બાવાની જનોઈ દસ્તુરજીના પગ ઉપર મૂકાવી રજા આપવી જોઈએ.

એ પ્રમાણે પાદ્રી બોલ્યા પછી કોટવાલ સાહેબે મજાકમાં હસી કહાડીને સઘળાને રજા આપી.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૭.

એક દિવસે ઘાશીરામ પર્વતી તરફથી સમીસાંઝની વખતે આવતો હતો. ત્યાં તળાવ, ઉપર ઘણા લોકો એકઠા થઈને આસમાન તરફ જોતા નજરે પડ્યા. તે વખતે શું છે એવું પૂછવા ઉપરથી પુછડીઓ તારો ઉગેલો છે, એવા કેટલાક લોકોએ જવાબ દીધો. તે ઉપરથી કોટવાલે પણ તેની તરફ નજર પહોંચાડી, તો મોટો પ્રકાશવાન તારો અને તેની પાછળ પુછડી હતી એવું તેણે જોયું. તે કેટલીકવાર સુધી જોઈને પાછો ઘેર આવ્યો. એટલામાં ત્યાં ગેાવિંદબાવા ગોસાંવી કાશીકર આવ્યા. તે વખત બંને વચ્ચે બોલવું થયું તે:—

ઘા૦— કાશીકર બાવા ! ધૂમકેતુ ઉગ્યો છે તેનું ફળ શું?

કાશીકર બાવા— એ ઘણી નરસી નિશાની છે. તે વિષે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું લખેલું છે. પ્રાકૃત કવિઓની બે ત્રણ આર્યા છે તેમાં સઘળો સારાંશ આવેલો છે.

ધા૦— તે આર્યા આપને મોહોડે છે કે નહીં?

કા૦— હા. (એવો જવાબ દઈને આર્યા બોલ્યો )

कालची महत पडावा, मर्की संप्रामयुद्ध निपजावें;
व्हावीं दुश्चिन्ह हीं, राया भुपाळि मृत्यु उपहावें। १
राष्ट्रीं अपाय घडती, कर्म कृषीचें धुळीस मीळावें;
हानी गोचर यातें, यमदूतानें गुरांसि पीळावें। २
बंडे नगरी व्हावीं, अवर्षण हे जनांसि पोळील;
येउनि वात प्रचंडचिना वाड्यांसी खचीत घाळील। ३

ઘા૦— એ દુઃખ નિવારણ કરવાનો કાંઈ ઉપાય છે કે નહીં ?

કા૦— આપણા શાસ્ત્રકારોએ સઘળા ઉપાય બતલાવેલા છે. તે બરાબર કરવામાં આવે તો સઘળાં દુઃખનો નાશ થાય છે.