પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ઘાશીરામ કોટવાલ.

જ્ઞાનેશ્વર સમાધિસ્થ થયા ત્યારથી તે હાલ સૂધી કેટલાક ભાવિક ભક્તોને ઉંઘમાં સ્વમમાં આવી ઉપદેશ કરે છે.

ઘા૦— તમારા હરદાસોમાં મુખ્ય સંપ્રદાય કેટલા છે ને ઉપદેશ કરવાની રીત કેવી ને શું છે ?

પૈ૦— મુખ્ય બે સંપ્રદાય છે, તેમાં એક નાથસંપ્રદાય ને બીજો રામદાસી સંપ્રદાય છે. જે સ્ત્રી અથવા પુરુષને ઉપદેશ લેવો હોય છે, તેઓએ તે પંથના બાવાની શરણે જવું. બાદ તેઓએ બાવાને ગુરુ કરીને તેની પૂજા કરવી અને તન, મન ને ધન એ ત્રણે ગુરુને આપ્યું એવો સંક૯પ કરવો. બાદ શિષ્ય થનારે ગુરુની સામે ઉભું રહેવું ને પોતાના માથા ઉપર એક ઉંધણ મૂકી, તે ઉપર પાણીનું ભરેલું એક વાસણ મૂકવું. તે વાસણનો જે ભાગ સન્મુખ આવે તેની ઉપર ચંદનનું ટીલું કરવું તે તિલક ઉપર એક નજરે જોવાનું તે શિષ્યને કહે છે, ને તે વખત બાવાની મંડળી હાજર હોય છે, તે ઝાંઝ વગાડે છે, ને કીર્તન ગાય છે. બાદ અરધી ઘડીએ તે વાસણ શિષ્યના માથા ઉપરથી ઉતારીને શિષ્યને બાવાની સામે ગુટણિયાં વાળી બેસાડે છે. પછી ગુરુ તથા શિષ્ય બંનેને માથે કાંઈ નવું કપડું બાંધે છે, ને શિષ્યના કાનમાં મંત્ર કહે છે.

ઘા૦— તમારા સંપ્રદાયનો મંત્ર કયો છે, ને રામદાસી સંપ્રદાયનો મંત્ર કયો છે ?

પૈ૦— ઉપદેશને મંત્ર કોઈએ કોઈની આગળ કહેવો નહીં, એવી અમારા ગુરુની આજ્ઞા છે; તે છતાં જો આપની મરજી હશે, તો કાગળના કકડા પર તે મંત્ર લખી આપીશ.

ઘા૦— બાવા સાહેબ ! તેને વાસ્તે મારો આગ્રહ નથી; પણ મારા મનમાં ઉપદેશ લેવાની ઇચ્છા છે; વાસ્તે નાથસંપ્રદાય તથા રામદાસી સંપ્રદાય એ બંનેના મંત્ર સરખા જ છે કે કાંઈ ફરક છે, તે મારે પ્રથમ સમજી લઈને જે સારો લાગે તે અંગીકાર કરવો છે.

પૈ૦— પોતે કાગળ ખડીઓ લઈને, તે ઉપર લખી આપ્યું કે, નાથસંપ્રદાયનો મંત્ર “ओंअहં तत्सोहं ओं श्री रामनामाय नमः” ને રામદાસી સંપ્રદાયનો મંત્ર “श्री राम,जयराम, जयजयराम” એવો છે. એ મંત્રનો જ૫ ઉપદેશ લેનારાઓએ હંમેશ કરવો જોઇએ.

ઘા૦— ૨ામદાસ કયાં ને કયારે થયા ?