છે. ખોરાકની બાબતમાં યે ઉચ્ચ વર્ગે દોરેલા માર્ગે જતાં રોગનો ભય વધી જાય એમ છે.
અને આરોગ્ય
પરંતુ એ તો ખોરાકની અતિશયતા અને બિનજરૂરી વિપુલતાનું પરિણામ. ગ્રામજનતાને તો ખોરાક પૂરતો મળતો નથી એવી બૂમ છે. પૂરતો ખોરાક ન મળવાથી મનુષ્ય તત્કાલ મરી જતો નથી, પરંતુ તેનો દેહ પૂરો ખીલતો નથી, જે કાંઈ ખિલાવટ થઈ હોય તેમાં ખામી આવે છે, તેની શક્તિ ઘટી જાય છે, તેનું માનસ મનુષ્યત્વ ભૂલતું જાય છે અને જોતજોતામાં તે રોગનો ભોગ થઈ પડે છે અને મૃત્યુવશ ન થાય તો નિરુપયોગી કંટાળાભરેલી જિંદગી લંબાવી તે વધારે દુઃખી થાય છે.
એ જ પ્રમાણે પૌષ્ટિકતારહિત ખોરાક ખાનાર ગરીબ ગ્રામજનતામાં એટલા જ કારણે રોગ ફેલાય છે. વળી સંયોગાનુસાર ફેરફાર અને મિશ્રણ ન કરવાથી પણ ખોરાકનું સામર્થ્ય ઘટે છે અને તેથી પણ રોગ ફેલાય છે. ચોખાની અતિશયતાથી ‘બેરી બેરી’ નામનો રોગ થાય છે એ જાણીતી વાત છે.
આમ ખોરાક પૂરતો ન હોવાથી, ખોરાકમાં પૌષ્ટિકતા ન હોવાથી અને ખોરાકમાં યોગ્ય મિશ્રણનો અભાવ હોવાથી ઘણા રોગ થાય છે.
પૂરતો ખોરાક કેવી રીતે ગ્રામજનતાને પહોંચાડવો ?
ભાવ
સહુનો ખોરાક ઉપજાવનાર ગ્રામજનતાને જ પૂરતો ખોરાક ન મળે તો આપણે સમજી જ લેવાનું કે કોઈ ભયંકર ખામીઓ આપણી આર્થિક વ્યવસ્થામાં પ્રવેશ કરી ચુકી છે. હિંદ સ્વાતંત્ર્ય માગે છે એનો અર્થ એક દૃષ્ટિએ એટલો જ કે તે પોતાનાં કરોડો