પૃષ્ઠ:Gramonnati.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







ધીરધાર

શાહુકારી પદ્ધતિ

શાહુકારને તો સહુ કોઈ ઓળખે છે. ગ્રામજીવનમાં શાહુકાર એક અત્યંત મહત્ત્વની વ્યક્તિ છે. એકાદ મોટા ગામડામાં તે રહેતો હોય અગર ગામડાની પાસે આવેલા કસ્બા કે શહેરમાં રહી, તે ગામડામાં પોતાના લેણદેણની વ્યવસ્થા કરતો હોય. બનતા સુધી ગામડામાં તે પોતાનું ઘર રાખે છે. ખેડૂત અને બીજી ગરીબ વસ્તીના કરતાં શાહુકારનું ઘર જુદું જ પડી આવે છે. એ મકાન પાકું હોય, પ્રમાણમાં વિશાળ હોય અને ધનિકતાનો ભાસ આપનારું હોય.

શાહુકારનો પોષાક પણ ખેડૂત અને મજુર કરતાં જુદો. પ્રમાણમાં સ્વચ્છ કપડાં તે પહેરે છે. સંભાવિતપણુ દેખાય એવી પાઘડી, ખેસ અને જોડા તેને ગ્રામવ્યક્તિઓથી જુદો પાડી દે છે. જનતામાં તેને માન મળે છે, એને બેસવા માટે પાથરણું પથરાય છે, અને કોઇ અમલદાર ગામમાં આવે ત્યારે શાહુકારને આગેવાની મળે છે. કદાચ અમલદારનો ઉતારો જ શાહુકારને ઘેર હોય, અને અમલદારને યોગ્ય સિધું પણ ગામડામાં શાહુકારને ત્યાંથી જ મળે.