‘અરે, પણ તમારા જીવતાં જ હું કેમ કરીને તમારો દલ્લો હાથ કરવાનો હતો ?’
‘હું તો હવે કેટલું જીવવાનો ?’
‘તમે તો હજી કડેધડે છો.’
‘પણ આ અષ્ટગ્રહી આવે છે ને ?'
‘તેથી શું ?’
‘એમાં કદાચ હું...’ બોલતાં બોલતાં સર ભગનનો અવાજ ધ્રુજી ગયો. ગળે ડૂમો ભરાયા જેવું પણ લાગ્યું.
‘કેમ ? કેમ ? આ શું ? ભગન શેઠ ?’ સર ભગનની આંખમાં પાણી જોઈને પિસ્તોલધારી પ્રકાશશેઠ પણ પીગળી ગયા. પૂછ્યું : ‘અષ્ટગ્રહીથી આટલા ગભરાઈ કેમ ગયા છો !’
‘આઠેઆઠ ગ્રહ એકઠા થવાના.’
‘અરે, ભલેને આઠને બદલે નવ એકઠા થાય.’
‘પણ યુતિમાં મને મારા દેહનો ભરોસો નથી.’
‘અરે, શું આમ પોચકાં મૂકો છો, ભગન શેઠ ?’
‘ગ્રહાષ્ટકમાં મહાપ્રલય થાય એ ટાળવા તો મેં મહાસહસ્રચંડી યજ્ઞ રાખ્યો છે.’
‘એટલે જ તો દેશ આખામાં ઘીનો દુકાળ ઊભો થયો છે.’
‘સાચે જ ?’
‘હા, ઘીના હજારો ડબા તમારા યજ્ઞ માટે સંઘરી બેઠા છો ને તમે ?’
‘એ તો સંઘરવા જ પડે.’
‘પણ એથી બજારમાં ક્યાંય ઘીનો છાંટો નથી મળતો. બનાવટી વૅજીટેબલ પણ કાળા બજારમાં ચાલી ગયું છે.’
‘એ કાળાંધોળાં કરનારાઓનો અષ્ટગ્રહીને દહાડે ઘડોલાડવો થઈ જવાનો છે. મારા જન્મસ્થાનમાં પણ નીચના ગ્રહો છે, એટલે મારી ઉપર આપત્તિ છે. એટલે જ, ચોથી ફેબ્રુઆરીએ હું કદાચ ઊકલી