‘સર ભગન ! હવે ઉતાવળ કરો. અમૃત ચોઘડિયું વીતી જાય છે.’ નીચેને માળેથી ફરી પ્રકાશશેઠની બૂમ સંભળાઈ.
સર ભગનને લાગ્યું કે અત્યારે તો અમૃત ચોઘડિયાને બદલે મારા નસીબમાં કાળ ચોઘડિયું ચાલી રહ્યું છે. માથે પડતો આવેલો ભાવિ વેવાઈ સાચે જ મારે માટે કાળ જેવો બની રહ્યો છે. મારી સઘળી માલમત્તાને, ને એક પૂરી પુત્રીનો કોળિયો કરી જવા એ અહીં આવીને બેઠો છે.
તેથી જ સર ભગનને લાગ્યું કે અત્યારે તો મારી આબરૂનું અસ્તિત્વ પણ તિલ્લુના હાથમાં છે. અને તેથી જ, એમણે પુત્રીને કહ્યું:
‘તિલ્લુ, હવે તો મને તું જ તારે કે તું જ મારે.’
‘હું તમને શા માટે મારું ? મારે પિતૃહત્યા નથી વહોરવી. હું પિતૃઘાતી બનવા નથી માગતી.’
‘તો પછી મને મારવાને બદલે તારવાનું પણ તારા જ હાથમાં છે.’
‘કેવી રીતે ?’
‘પ્રકાશશેઠના છોકરાને પરણવાની ના કહી દે.’
‘શરતે કહું.’
‘બોલ, શી શરત છે ?’
‘તમે જે વિલ બનાવ્યું છે તે મને સેાંપી દો.’
‘વિલ ? એનું વળી તારે શું કામ પડ્યું ?’
‘મારે એ સુધારવું છે.’