પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશરો આપો
૧૦૩
 


‘હું પણ અષ્ટગ્રહી પૂરી થાય ત્યાં સુધી લાચાર જ છું.’

‘પણ ત્યાં સુધી અમે શું કરીએ ? માખો મારતા બેસી રહીએ?’

‘એ આપની મુન્સફીની વાત છે. બાકી તિલ્લુના વ્રતપાલનમાં વચ્ચે આવવાનું પાપ તો હું ન જ કરી શકું.’

‘આ પિસ્તોલ જોઈ છે?’ પ્રકાશશેઠે ફરી પિસ્તોલ બતાવી.

‘તમે આ પિસ્તોલ જોઈ છે?’સર ભગને પોતાના ડ્રેસિંગ ગાઉનમાંથી પિસ્તોલ કાઢીને બતાવી.

‘આ તો બૅલેન્સ ઑફ ટેરર થઈ ગયું. ચાલો ત્યારે, હવે યુદ્ધવિરામ કરી નાખીએ,’ કહીને પ્રકાશશેઠે પિસ્તોલ ખિસ્સામાં મૂકીને સર ભગન સાથે હાથ મિલાવ્યા. પછી ઉમેર્યું :

‘આપણે હવે વેવાઈઓ તરીકે ક્યારે હાથ મિલાવીશું ?’

‘ગ્રહાષ્ટાક યોગ પૂરો થયા પછી.’

‘પણ એ તો છેક પાંચમી ફેબ્રુઆરીએ પૂરો થશે. ત્યાં સુધી અમારે...’

‘રાહ જોવાની, પાંચમી ફેબ્રુઆરીને હવે ક્યાં પેટમાં દુખે છે ? દિવસને જતાં શી વાર ?’

‘પણ એટલા દિવસ અમે શી રીતે પસાર કરીશું ?’

સર ભગન સમજ્યા કે પ્રકાશશેઠ અત્યારે પ્રમોદકુમાર વતી બોલી રહ્યા છે. વિરહાગ્નિમાં શેકાતા ભાવિ વરરાજ અષ્ટગ્રહી સુધીના દિવસો શી રીતે પસાર કરશે એવી પ્રકાશશેઠ ફરિયાદ કરે છે એમ સમજીને સર ભગન એક આદર્શ પુત્રપિતા તરીકે જરા શરમાઈને મૂંગા રહ્યા, તેથી પ્રકાશશેઠે ફરી એ જ ફરિયાદ કરી :

‘પણ એટલા દિવસ અમે કેમ કરીને પસાર કરીશું ?’

આ પ્રશ્નમાં વપરાયેલ ‘અમે’નો બહુવચનો પ્રયોગ સર ભગનને જરા વિચિત્ર લાગ્યો.

‘સુખેદુઃખે સમય પસાર થઈ જશે, શેઠ.’

‘પણ આટલા દિવસ ક્યાં પસાર કરવા ?’