વાત છે. એના ભરમાવ્યા ભરમાયા છો તે હવે ભોગવજો એનાં ફળ.’
‘દીકરી, પણ તું તો આ વિલમાં મારા ઉપર દયા કરજે જરા.’
‘તમે નાહકના ગભરાઓ છે, પપ્પા. વિલનો અમલ તો માણસના મૃત્યુ પછી જ થાય. અને એ વખતે માણસ ક્યાં જોવા આવે છે કે મારી પાછળ શું થયું ?’
‘પણ કદાચ મારું મૃત્યુ નહિ થાય તો ?’
‘એટલે ?’
‘એટલે કે આ અષ્ટગ્રહ યોગમાંથી હું હેમખેમ ઊગરી જાઉં તો ?’
‘તો તો આફત થશે.’
‘આફત ?’
‘મારે માટે.’
‘તો તું શું એમ ઇચ્છે છે કે હું મરી જાઉં.’
‘હું નહિ. તમારા એ ગ્રહો એવું ઈચ્છે છે. તમારો ગિરજો ગોર એવું ઈચ્છતો હશે.’
‘ગિરજો મને ઉગારી લેવા આ બધી મહેનત કરે છે. ગ્રહશાંતિ માટે તે આ મહાસહસ્ત્રચંડી યજ્ઞ કરાવે છે.’
‘એ તો એના ઉદરની ક્ષુધાશાંતિ માટે આ બધી ધાંધલ કરાવે છે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા.’
‘તું તો નૃત્ય શીખી ત્યારથી નાસ્તિક થઈ ગઈ છે. બાકી ગિરજો સાચે જ જ્ઞાની માણસ છે.’
‘એ તો અષ્ટગ્રહ યોગને દિવસે ખબર પડશે કે ગિરજો જ્ઞાની છે કે ગમાર.’
પિતાપુત્રી વચ્ચે આમ વાતચીત ચાલતી હતી ત્યાં સેવંતીલાલ બારણા નજીક આવી ઊભા. એ વફાદાર સેવક આજ કાલ બહુ જ વ્યગ્ર રહેતા હતા. સર ભગન એની વ્યગ્રતા વાંચી જઈને બોલ્યા :
‘કેમ સેવંતીલાલ ? કાંઈ મુશ્કેલી છે ?’