પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વખત વેરસી
૧૨૧
 

અથડાતો હતો.

આ બધી અષ્ટગ્રહ યુતિની જ આફત, એમ તેઓ સ્વાનુભવે સમજી રહ્યા હતા, કઈ ઘડીએ શું બનશે, એ કરતાં શું નહિ બને એની કલ્પના જ એમને અકળાવી રહી હતી. પોતે ભભૂકતા જ્વાળામુખીના શિખર પર સૂતા હોય એવી અસ્થિરતાની લાગણી એમને ઘેરી વળી હતી.

અરેરે ! આ અસ્થિરતા કરતાં તો જ્વાળામુખીની જ્વાળામાં હું ખાખ થઈ જાઉં તોય ઓછી પરેશાની થશે. અને હવે પરેશાન થવામાં બાકી પણ શું રહ્યું છે ! આજે તિલ્લુએ મારા વિલના, મારી જ નજર નીચે જે હાલહવાલ કરી નાખ્યા એનાથી વધારે આફત હવે બીજી કઈ બાકી રહી હશે ? મારું આખુંય વસિયતનામું મારી જ પુત્રીએ મારે જ હાથે સુધરાવીને મને તો જીવતે જીવ બાવો કરી મૂક્યો. અરે, બાવાઓ પાસે પણ બૅંક બૅલેન્સ હોય છે, ત્યારે મને તો આ ઘરમાં તિલ્લુની દયા ઉપર જ જીવવું પડે એવા દિવસ આવી રહ્યા છે.

સર ભગનના હૈયામાં બેવડી હોળી સળગતી હતી; એક તો, વિધિના લેખ જેવી અફર અષ્ટગ્રહ યુતિ અને બીજી, સમાજ જેને નવમો ગ્રહ ગણે છે એ જમાઈની પસંદગી, જમાઈપદેચ્છુ પ્રમોદકુમાર તો શ્રીભવનમાં ધરાર–જમાઈની ઢબે આવીને બેસી ગયો હતો. એને માનભેર અને આબરૂભેર શી રીતે પાછો કાઢવો એ અંગે સર ભગન મૂંઝવણમાં હતા, પ્રમોદકુમારના નામ ઉપર ચોકડી પાડ્યા પછી પુત્રી પોતાના સ્વયંવરની વરમાળા કયા સુપાત્રના ગળામાં આરોપશે એ પણ એક સવાલ હતો. આમ નવનવ ગ્રહો અત્યારે સર ભગનના હૈયામાં હમચી ખૂંદીને એમને હેરાન પરેશાન કરી રહ્યા હતા.

આવી રહેલ અનિષ્ટનાં એંધાણ આગોતરાં વરતાય એ ન્યાયે એમને કશુંક આવી ૨હ્યું હોવાની ભીતિ સતાવી જ રહી હતી.