પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
ગ્રહાષ્ટક વત્તા એક
 

 ‘એ તો દરવાજા પર ગયા છે. કાઠિયાવાડી લોકોનું મોટુંમસ ટોળું આવી પડ્યું છે, એને અટકાવવા બીજા ચોકિયાતોને લઈને દરવાજે આડા ઊભા છે.’

સાંભળીને સર ભગને બીજા નોકરોને હુકમ કર્યો.

‘એ લોકોને અટકાવો નહિ. અંદર આવવા દો.’

અને પછી મનશું ગણગણ્યા : ‘એ તો પડશે એવા દેવાશે. અત્યારે આફતનું આભ ફાટ્યું છે એમાં થીગડું કેમ કરીને દેવાય ?… લાખ ભેગી સવા… બહુ દુખિયાંને દુઃખ નહિ ને બહુ ઋણિયાંને ઋણ નહિ…’

સર ભગનનો શબ્દ દરવાજે પહોંચ્યો અને શોરબકોર બધો શાન્ત થઈ ગયો. શેઠની આજ્ઞાનો સત્વર અમલ થયો.

આખુયે હાલરું આનંદની ચિચિયારીઓ કરતું હડુડુડુ કરતું બંગલામાં પેઠું.

એના આગમનમાં વિજયટંકાર સંભળાતો હતો.

‘ભાઈની ભલાઈએ કાંઈ ઘરની માલીપા ઘરવા નથી દીધાં આપણને, કાકા કહીને ઘરમાં ઘાલ્યાં છે.’

‘માલીપા ઘરવા નો દ્યે તો જાય કયાં ? આપણે કાંઈ માગણ ભિખારી કે અતીત – અભ્યાગત થોડાં છંયે ? વેવાઈ છંયે, વેવાઈ.’

‘વેવાઈમાં પણ વળી પાછા વરનાં માવતર એટલે આપણો હાથ ઊંચો ને કન્યાવાળાનો એટલો નીચો.’

‘ઈ તો આદિકાળથી હાલતું આવ્યું છે. ગમે ઇવા તોય આપણે વરવાળા, ને ઇવડાં ઈ કન્યાવાળાં.’

થોડી વારમાં આખું લાવલશ્કર બંગલા નજીક આવ્યું. ત્યાં તો એક સાચાં ઘી–દૂધ ખાધેલા ગળામાંથી ગજવેલ જેવો અવાજ ઊઠ્યો :

‘કાં ભગવાનજી વેવાઈ ! કેમ છો ? ઇયાં કણે મેડીને મોલે ખેતરના ચાડિયાની ઘોડ્યે ઊભા છો, તી આ વખતચંદ વેવાઈને