પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

 ‘આમ ઘોડે ચડીને તે પાણિગ્રહણ થતાં હશે ?’

‘તી વિવાહવાજનમાં વરરાજા ઘોડે ન ચડે તો શું ગધેડે ચડે ?’

‘પણ આટલી ઉતાવળ ?’

‘ઉતાવળ ન કરીએ તો તો આડેથી કોક સવેલી જ ઉપાડી જાય.’

‘ધીરજ રાખો, શેઠ, ધીરજનાં ફળ મીઠાં છે.’

‘મીઠાં નહિ, માઠાં છે. આ આટલાં વરસ લગી અમે ખીમચંદનાં લગ્નનું દબાણ ન કર્યું, ને તમારી તિલ્લુ ભણે છે, ભણે છે, એમ સમજીને ધીરજ ધરીને બેઠાં રયાં, ત્યારે જ આમ અંતરિયાળ જાન જોડવાના દિવસ આવ્યા ને ?’

‘તમે નાહકની આટલી ઉતાવળ કરીને અહી સુધી ધક્કો ખાધો.’

‘ઉતાવળ ન કરી હોત તો તે મારો ખીમો વા ખાતો જ રઈ જાત. પણ મેં મારી અકલ કાંઈ ઘરાણે મેલી છે ? રાઘવા નાઈએ મારી દાઢી કરતાં કરતાં વાત કાઢી કે ભગનશેઠની છોકરી પ્રકાશશેઠના છોકરાને પરણશે, કે તરત મેં તો ઈ વાળંદને કહી દીધું કે, એલા હવે હાંઉ કર્ય, દાઢી બવ સારી ઊતરી ગઈ છે, અવળો હાથ નથી લેવો. સમજ્યા ને ભગનશેઠ ? નાઈ અવળો હાથ લેવા રોકાય ને એમાં અસુરું થઈ જાય તો ? તો તો પછે આંયાકાણે ઓલ્યો પ્રકાશશેઠ અમારી કન્યાને સવેલી લઈને હાલતો જ થઈ જાય ને? ને મારા ખીમાનાં લગનનું અમૃત ચોઘડિયું ઊતરી જ જાય ને એટલે અમે તો ઊભાં ઊભાં જાન જોડી. વાજોવાજ રેલ પકડી. ભાતાંપોતાં બાંધવાય ને રોકાણાં. જાનૈયાએ પણ કહ્યું કે હવે તો ભોજન કરશું ભગવાનજી વેવાઈને માંડવે જ.’

‘એ તો હું ક્યારનો તમને સહુને કહું છું કે તમે આ કાઠિયાવાડી રેલગાડીનાં કોલસીકસ્તરથી રજોટાયેલાં હવે જલદી