પછી જ બીજા વિવાહનો યોગ છે.’
‘કાંઈ સમજાણું નહિ, ભગન વેવાઈ.’
‘ગિરજાએ એમ કહ્યું હતું કે તિલ્લુનો એક વિવાહ ફોક જવાનો યોગ છે.’
‘હા.’
‘એટલે અમે વિચાર્યું કે જો એના નસીબમાં આમ પહેલો વિવાહ તૂટવાનું જ માંડ્યું છે, તો ચાલો, ઝટપટ એક વાર વિવાહ કરીને તોડી નાખીએ, એટલે...’
‘એટલે પછી લગનની લેન કીલિયર થઈ જાય, એમ જ ને ?’
‘ભાઈ, અમને તો ગિરજા ગોરે સલાહ આપી એમ કર્યું.’
‘પણ એ તમારો ગોર પણ કેવો ગમાર કે આવી અવળી સલાહ આપી.’
‘ગિરજાને તો અમે ગોરદેવતા ગણીએ છીએ. એનો બોલ એટલે બ્રહ્મવાક્ય. એટલે જ એણે તિલ્લુની કુંડળી વાંચીને ભવિષ્ય ભાખ્યું ત્યારે અમે ગભરાઈ ગયાં. પછી ગિરજાએ જ આ સુટકો સુઝાડી આપ્યો.’
‘લગનના સગપણ જેવા સગપણને તમે સુટકો ગણો છો ?’
‘હું નહિ, અમારા ગોરદેવતા.’
‘અરે, એ તમારો ગોર મહારાજ દેવતા નહિ પણ કોયલો છે કોયલો. નહિતર એ આવી અવળમત્ય તમને સુઝાડે જ નહિં.’
‘એ તો છોકરીના હિતમાં સલાહ આપી કે...’
‘કે વિવાહ કરીને તોડી નાખો, એમ જ ને ?’
‘હા, એમ જ. કુળગોર કહે એમ કરવું જ પડે ને ?’
‘અરે, પણ કુળગોર તો કાલે સવારે કહેશે કે કૂવામાં પડો, ને એમ છતી આંખે કૂવામાં પડશો ?’
‘અત્યારે તો અમારા ગિરજાનો દોર્યો દોરવાઉ છું, ને આ ગ્રહાષ્ટકની યુતિ થાય છે એમાં હું સાચે જ ઊંડા કૂવામાં