પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
ગ્રહાષ્ટક વત્તા એક
 

 ‘અહીં ઘરમાં તો ઘરવાળાં જેવું કંઈ કળાતું નથી. બૈરાંછોરાં સહુ દેશમાં ગયાં છે ?’ સર ભગને પૂછ્યું.

સાથેસાથે લેડી જકલ પણ બોલી ઊઠ્યાં : ‘તિલ્લુએ આ વાત તો અમને કોઈ દી કરી જ નહોતી કે તમે તો પરણેલા છો.’

‘તમારી બેઉની ગેરસમજ થાય છે. હું તો હજી પરણ્યો જ નથી.’

‘હાશ ! અમારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો. તમે કહ્યું કે હું તો કલા જોડે પરણી ગયો છું.’

‘કલા એટલે મારી નૃત્યકલા.’

‘તો ઠીક… તો કશો વાંધો નહિ. મને તો થયું કે આ કનૈયાકુંવર જેવો જમાઈ આપણા નસીબમાંથી ખસ્યો કે શું ?’

‘શેઠ, તમે કાંઈક ભ્રમમાં લાગો છો.’

‘જરાય ભ્રમમાં નથી. મને પાકો ભરોસો છે કે હું તમને જમાઈ બનાવી શકીશ.’

‘મને જમાઈ બનવામાં રસ નથી.’

‘ત્યારે શામાં રસ છે ?’

‘કાર્તિકેય બનવામાં.’

‘શિવ શિવ ! લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે તમે હજી મોં ધોવા જાઓ છો ?’

‘હું લક્ષ્મીને નહિ. કલાને વર્યો છું.’

‘કલાને ભલે ને વર્યા, એમાં શું વાંધો છે ? પણ હવે મારી દીકરીને વરો એટલે રંગ રહી જાય.’

‘હું મારી કલા ઉપર શોક લાવવા નથી માગતો.’

‘પણ આમાં શોકની વાત જ ક્યાં આવી ! મારી તિલ્લુ તમારી કલાને થોડી નડવાની હતી ? તિલ્લુ પણ કલાને જ વરેલી છે ને ?’

‘નહિ. એ પેલા જલાલપરવાળા જંગલીને વરશે એવો મને વહેમ છે.’