પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


તિલ્લુ નાટકમાં રિહર્સલ કરવા ચાલી ગઈ.

‘એ ચાલી ગઈ એટલી નસીબદાર.’

‘કેમ ?’

‘આ આફતમાંથી ઊગરી જશે.’

‘કેવી સિલી વાત કરો છો લેડી જકલ !’

‘સિલી નહિ, સાચી વાત કરું છું, રિહર્સલને બહાને તિલ્લુ ઘરમાંથી નાસી ગઈ, એટલી ઈશ્વરની આપણી ઉપર કૃપા સમજવી.’

‘કૃપા કે અવકૃપા ?’

‘કેમ ?’

‘એમ કે, આ ઘમસાણમાં આપણે બેઉ મરી પરવારીશું તોય આપણો વંશવેલો જીવતો રહેશે જ.’

‘આપણો વંશ ? ને એનો વળી વેલો ?’

‘હા, કેમ ? દીકરીએ પણ દીવો રહેશે.’

‘અરે, પેલો દીવો કેમ કરીને થયો ?’ સર ભગન બાઘામંડળની જેમ દૂરદૂર તાકી રહ્યા.

એમની નજર શ્રીભવનના બંગલાને બીજે માળે તિલ્લુના રિહર્સલરૂમ ઉપર ઠરી હતી. એ ઓરડાની સ્ટેઈનગ્લાસની બારીમાં એકાએક દીવાનો ઉજાસ દેખાયો હતો.

‘ફ્યુઝ ઊડી ગયો છે તો પછી તિલ્લુના રૂમમાં દીવો કેમ કરીને થયો હશે?’ સર ભગન તાજુબી અનુભવી રહ્યા.

‘આ અજવાળું ઇલેક્ટ્રીસિટીનું ન હોય.’

‘ત્યારે શાનું ?’

‘તેલના દીવાનું...સાચું કહું તો દીવીઓનું.’

‘પણ તિલ્લુ પાસે એવી દીવીઓ આવી ક્યાંથી ?’

‘એ. તા રોજ દીવીઓ પેટાવીને જ ડાન્સ કરે છે ને ? નટરાજ આગળ ઘીનો દીવા પેટાવ્યા વિના અલારિયું આગળ જ વધી ન શકે.’

‘તો તો આપણો દીકરીએય દીવો રહેશે ખરો.’