એ માણસ ઉન્માદી અવસ્થામાં આમથી તેમ દોડતો હોય એમ લાગ્યું.
એક માણસે સર ભગનને ફરિયાદ કરી :
‘શેઠ, પેલો ‘ટિલ્લુ ! ટિલ્લુ !’ અવાજ સંભળાય છે ને, એ એક પારસી બાવાજી બૂમો પાડે છે.’
‘એ તો મગજમેટ છે.’
‘મગજમેટ કોણ જાણે, પણ એ મારકણો તો લાગે છે.’
‘કેમ, શા પરથી કહે છે ?’
‘આ અહીં દટ્ટણ સો પટ્ટણ જેવો દાટ વાળનાર એ ડોસો છે.’
‘એણે શું કર્યું ?’
‘એ હાથમાં લાંબો વાંસ લઈને માર્ગની વચ્ચે ઊભો છે ને અંધારામાં સામેથી આવનારના પગમાં એ વાંસની આંટી નાખીને ઉથલાવી પાડે છે. ખલાસ. એ ભોંયભેળાં થનાર માણસ પછી ફરી ઊભાં થઈ જ નથી શકતાં...એના ઉપર બીજા બધા કચડતાં-ગૂદતાં ચાલ્યા જાય છે, એ ડોસલાએ આવી તો કેટલીય લોથ ઢાળી નાખી.’
‘એ ડોસાની ડાગળી ચસકેલ છે.’
‘પણ એ ચસકેલ ડાગળીએ તો અહીં દાટ વાળી નાખ્યો.’
‘હું એને જેલમાં પુરાવીશ.’ સર ભગને તકિયા કલામ જેવું સૂત્ર ઉચ્ચારી નાખ્યું. આજે રાતે તેઓ જેને તેને જેલમાં પુરાવવાની જ ધમકી આપી રહ્યા હતા. જલાલપરના જાનૈયાઓને ગેરકાયદે ગૃહપ્રવેશના સબબસર જેલમાં નખાવ્યા પછી એમને આ ધમકી બહુ જીભે ચડી ગઈ હતી. ગિરજાશંકરને, ખીમચંદને, બુચાજીને સહુને તેઓ જેલમાં જ પુરાવવાની દાટી દેતા હતા.
સર ભગનને એક ભેદ નહોતો સમજાતો. બૅરિસ્ટર બુચાજીનું ભેજુંગેપ થઈ ગયું અને દવાખાનાની પરિચારિકાઓએ પણ એની સારવાર કરવાની ના પાડી ત્યારથી એને કૂતરાં-માસ્તર ખાનખાનાનના