‘શાનું ?’
‘અષ્ટગ્રહ યુતિનું.’
‘હવે એ તો ગિરજા ગોરના ગપાટા.’
‘ગપાટા નહિ, ગંભીર હકીકત છે. આખી દુનિયા ઉપર આફત તોળાઈ રહી છે. આ છાપાંમાં વાંચતા નથી? દ્વાપર યુગમાં એક વાર અષ્ટગ્રહ ભેગા થયા હતા. મહાભારતનું યુદ્ધ થયુ ત્યારે આવો ગ્રહયોગ હતો. અને હવે આ કલિયુગમાં ફરી પાછા એ જ આઠ ગ્રહો ભેગા થશે, ત્યારે ઉલ્કાપાત મચી જશે.’
‘ગિરજાના ગપાટા—’ જીવનના આનંદથી છલોછલ એવાં લેડી જકલને આવી દુઃખશોકમય વાત સાંભળવી ગમતી નહોતી.
‘ગિરજાના ગપાટા નથી, દુનિયાભરના જ્યોતિષીઓની આ આગાહી છે કે અષ્ટગ્રહ યુતિને દિવસે દુનિયામાં નવાજૂની થશે.’
‘તો થવા દો.’
‘એમ થવા તે કેમ દેવાય ?’
‘તે નહિ થવા દો તો કાંઈ અષ્ટગ્રહને આડા હાથ દેવા જશો ?’
‘આડા હાથ ન દઈ શકીએ તોપણ પાણી પહેલાં પાળ તો બાંધી શકીએ ને ?’
‘કેવી રીતે પાળ બાંધશો ?’
‘એ આપણો ગિરજો ગોર કહેશે—’ આમ કહીને સર ભગને બૂમ મારીઃ ‘સેવંતીલાલ !’
શેઠના રહસ્યમંત્રીથી માંડીને રામા સુધીની અનેકવિધ કામગીરી બજાવનાર સેવંતીલાલ આજ્ઞાંકિત અદાથી ઓરડામાં પેઠા એટલે સર ભગને ફરમાવ્યું :
‘ગિરજા ગોરને ગાડી મોકલાવો.’
‘જી, શેઠ.’
‘અને બુચાજી બૅરિસ્ટરને ફોન કરો.’
‘ફોનમાં શું કહું ?’