પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૩.
ત્યક્તેન ભુંજીથા:
 

‘ગિરજાને ઘેરથી ગાડી પાછી આવી છે.’

‘પણ ગિરજો આવ્યો કે નહિ ?’

‘ગોરાણીમાએ કહ્યું કે ગોર રુદ્રી કરાવવા ગયા છે, એટલે મોડા આવશે.’

‘લો સાંભળો સમાચાર ! તડ પડે ત્યારે રાંકા મોંઘા થાય એ આનું નામ. વારુ, બુચાજી શું કહે છે?’

‘ફરી ફોન કર્યો હતો. ઘેરેથી નીકળી ગયા છે.’

‘વકીલોનું આ બહુ સુખ. ખોટે બોલાવો તો ફીની લાલચે સાચે જ હાજર થઈ જાય. બિચારાઓને બેકારી પણ એવી જ છે. કહે છે, આ બુચાજી તો એમના રિજેન્ટ સ્ટ્રીટનાં કોટ–પાટલૂનની ધોલાઈ જેટલું પણ નથી રળતા. સાચી વાત, સેવંતીલાલ !’

‘એટલે જ તે વકીલ–બૅરિસ્ટરો કાળાં કપડાં જ પહેરતા આવ્યા છે. એ મેલખાઉ કોટ દસ વરસ સુધી ધોવાય નહિ તોય કોઈને કશી ખબર ન પડે.’

‘નહિ, નહિ. કાળો રંગ તો એમનાં કરતૂકનો રંગ છે. એ કજિયા–દલાલોએ કાળાંધોળાં બહુ કરવાં પડે તે ? એટલે જ એ લોકો ગાઉન–હુડ કાળાં ને ગલપટા ધેાળા રાખે છે.’

ફોનની ઘંટડી વાગી.

સર ભગને, આદતને જોર જ વાસ્કુટમાંથી રોસ્કોપ ઘડિયાળમાં જોયું. અને બોલી ઊઠ્યા :

‘મારકિટનો હશે.’