પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્યક્તેન ભૂંજીથાઃ
૨૫
 


ઉપરાંત પોતાની સુવાંગ માલિકીની કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ હતી, એનો ચોક્કસ આંકડો એમને ચોપડાઓમાં જોવો પડતો. આર્થિક હિતોનો આવડો જબરો પથારો સંકેલીને પુત્રીને નામે ચડાવતાં પણ કેટલો સમય લાગે ! એ તો સારું થયું કે બૅરિસ્ટર બુચાજીના બ્રીફકેસમાંથી માગો તેટલા સ્ટૅમ્પ–પેપર નીકળતા જ રહ્યા અને સેક્રેટરી સેવંતીલાલ એના ઉપર ટપોટપ ટાઈપ કરતા રહ્યા.

આવી રહેલ અષ્ટગ્રહ યુતિથી અકળાઈ ઊઠેલા સર ભગન આજે ‘ત્યેન ત્યક્તેન ભૂંજીથા:’ના ગીતાબોધ્યા ઉપદેશને અમલમાં મૂકી ૨હ્યા હતા.

દીવાનખંડમાં કોઈના ઉઠમણાનું પાથરણું પડ્યું હોય એવી ઉદાસી છવાઈ ગઈ હતી.

આવી ઉદાસી વચ્ચે એક માત્ર બુચાજી આનંદ અનુભવી રહ્યા હતા. કોઈની દાઢી સળગે ત્યારે તાપણું માણવા મળે એ ઢબે સર ભગનના આ ત્યાગપત્ર ટાઈપ કરાવતાં કરાવતાં આ બેકાર બૅરિસ્ટરને પોતાની ફીનો તડાકો પડી રહ્યો હતો; એનો આનંદ એમના હૃદયમાંથી ઊભરાઈને આંખ વાટે છલકાતો હતો.

સૉલોમન જોડે ટૅનિસ ખેલીને અને પેટ ભરીને ફુવારા–સ્નાન કરીને લેડી જકલ દીવાનખંડમાં પેઠાં ત્યારે ‘શ્રીભવન’ને સિંહદ્વારે ગોકીરો ઊઠતો સંભળાયો :

‘મારી નાખ્યો !’

‘બાપલિયા રે !’

‘બચાવો ! બચાવો !’

‘વોય માડી રે !’