પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રલય પહેલાં
૪૩
 


‘ના.’

‘કોમ્યુનિસ્ટોએ બોઈલરમાં બોમ્બ ફોડ્યો છે ?’

‘ના.’

‘તો શું માણસો કામે ચડવાની ના પાડે છે ?’

‘ના, સાહેબ, ના. મિલમાં કામદારો જ નથી આવ્યા, પછી કામે ચડવાની વાત જ કયાં રહી !’

‘યુનિયને હડતાલ પડાવી ?’

‘ના, આ તો મજૂર લોકો દેશભેગા થવા માંડ્યા છે.’

‘કેમ ? દેશમાં શું દાટ્યું છે ?’

‘દેશમાં તો કશું નથી, પણ અહીં દટણ સો પટણ જેવું થઈ જશે એવી બીકથી માણસો દેશભેગા થઈ રહ્યા છે. કહે છે કે ચોથી ફેબ્રુઆરીએ આઠ ગ્રહ ભેગા થશે ત્યારે વિમલ તળાવ ફાટશે અને બધું ડૂબી જશે.’

‘અરે, મજૂરો પણ ગભરાઈ ગયા છે ?’

ગિરજો વચ્ચે બોલ્યોઃ ‘શેઠ, જીવ તો એમને પણ વહાલો હોય ને ?’

‘પણ એથી આમ ગામ છોડીને નાસી જવાય ?’

‘એટલે જ તો હું કહું છું કે શાંતિયજ્ઞ કરી નાખો. સહસ્ત્ર મહાચંડી યજ્ઞ કરો તો ગ્રહોની શાંતિ થાય.’

સર ભગન મોંમાં ચિરૂટની જગ્યાએ તર્જની ટેકવીને વિચારમાં પડી ગયા. મિલોમાં કામદારોની ગેરહાજરીથી માંડીને આગામી જળપ્રલય સુધીના મુદ્દાઓ અને એના લાભાલાભનું તોલન કરી જોયું.

થોડી વારે એમણે હુકમની રાહ જોતા ઊભેલા મંત્રીને હુકમ કરી દીધો:

‘સેવંતીલાલ, એક્સપ્રેસ રિલીઝ તૈયાર કરીને હમણાં જ છાપાંઓમાં મોકલી આપો.’