પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


ગમે તેમ પણ શાંતિયજ્ઞની જાહેરાત કરીને સર ભગને એક જ કાંકરે બે પક્ષી મારી લીધાં હતાં. પોતાની સલામતી ને સુરક્ષાની નેમ તો હતી જ. ઉપરાંત પોતાની મિલોમાંથી કામદારોને દેશાભેગા થતા અટકાવવાનો અર્થ પણ એથી સરી જ રહ્યો હતો.

તેથી જ સર ભગનના કેટલાક વિરોધીઓ અને નાસ્તિકોએ તો એમના પર દોષારોપણ પણ કરવા માંડ્યું :

‘એ તો મિલોમાં ત્રીજી પાળીમાં કામદારો આવ્યા નહોતા એટલે જ સર ભગને આ યજ્ઞની જાહેરાત કરી.’

‘ધરમને નામે કરમ સાધી લેવાનો જ આ કીમિયો.’

આવા હેત્વારોપણને સમર્થન મળી રહે એવા પુરાવા પણ સાંપડી રહ્યા. આમેય, સામાન્ય માનવીઓ જેને પોતાનો દેશ કે વતન ગણતા હતા એ દૂરદૂરનાં ગામડાંઓમાં વેપાર-રોજગાર જેવું કશું હતું નહિ, આવકનાં સાધનો નહિવત્ હતાં, તેમને તો આવી સ્થિતિમાં તળાવ ફાટવાની બીકે અને અષ્ટગ્રહીની અન્ય આફતોથી ગભરાઈને ગામડે ચાલ્યા જવામાં કદાચ જાનની સલામતી સચવાય તો પણ ત્યાં જઈને ભૂખમરો જ વેઠવાનો હતો. આવી મનોદશામાં અષ્ટગ્રહીની શાંતિ કાજેના હોમહવનના સમાચાર એમને માટે રાહતરૂપ નીવડ્યા. સર ભગને જાહેર કરેલો મહાન યજ્ઞ અષ્ટગ્રહીના કોપને શાંત કરવા જ યોજાયો છે એવી હવા જામવા લાગી. અને અભણ, અજ્ઞાન, અંધશ્રદ્ધાળુ લોકોની ગામડાંઓ ભણીની હિજરત ઓસરવા લાગી.

‘હવે તે જીવીશું તોય અહીં જ, ને મરીશું તોય અહીં જ,’ એવા ફરજિયાત નિર્ધાર સાથે લોકો ચંડીયજ્ઞમાં બીડું હોમવાની રાહ જોઈ રહ્યાં.

‘યજ્ઞમાં આહુતિ આપીને પાવન થઈએ પછી પ્રલય થાય તો પણ આપણને શાની આંચ આવે ?’

‘અરે, શાંતિયજ્ઞ થાય પછી પ્રલય થાય જ શાનો ? સહસ્ત્રચંડી