ચંડી યજ્ઞ એટલે શું એ સમજો છો ? એક હજાર ઘડા તો એમાં ઘી હોમાશે.’
‘સતયુગમાં ધરમરાજાએ આવો જગન કર્યો હતો. ને હવે કળિયુગમાં સર ભગન આવું ધર્મકાર્ય કરી રહ્યા છે.’
‘સર ભગન પણ આ કળિયુગના ધર્મરાજ જ છે ને ?’
‘હા જ તો. નહિતર, આવા કલિકાળમાં આવાં ઇન્દ્રાપુરી જેવાં સુખચેન સાંપડે ખરાં ?’
સર ભગન આમ રૂઢિચુસ્ત અને જૂના જમાનાના, ઓલિયાદોલિયા જેવા આદમી હોવા છતાં અખબારી પ્રસિદ્ધિનું મૂલ્ય બરાબર સમજતા હતા. તેથી જ, ત્રીજી પાળીમાં કામદારોની ગેરહાજરી છે એમ જાણતાં જ એમણે સવારનાં અખબારોમાં શાંતિયજ્ઞના સમાચાર છપાવી નાખેલા. રાતે મોડું થઈ ગયું હોવાથી સેક્રેટરી સેવંતીલાલને જાતે જ છાપાંઓની કચેરીઓ પર દોડાવેલા. અને એમણે અપેક્ષા રાખી હતી એ પરિણામ સાચે જ સિદ્ધ થવા માંડ્યું.
રોજ ઊઠીને શહેરમાં જ્યોતિષીઓના વર્તારાઓ પ્રગટ થયા જ કરતા. કોઈ કહેતું હતું કે અષ્ટગ્રહીને દિવસે દરિયાનાં પાણી જમીન પર ફરી વળશે, સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ થઈ જશે. કોઈ આગાહી કરતું હતું કે એ દિવસે ભયંકર ધરતીકંપ થશે અને ધરતી ઉપરતળે થઈ જશે. વિમલ તળાવને બદલે ત્રીજું વિશ્વયુદ્ધ જ ફાટી નીકળવાની પણ એક આગાહી હતી.
‘આ ત્રીજું વિશ્વયુદ્ધ તો રોકડી ત્રણ જ મિનિટ ચાલશે. એ ત્રણ મિનિટમાં તો ધરતીના ત્રણ ખંડ અણુબૉમાં ભસ્મીભૂત થઈ જશે.’
‘એ અણુબૉમની આગની જ્વાળા આપણને અહીં સુધી ભરખી જવાની છે.’
‘અરે ભાઈ, એ આગ સામે જ તો સર ભગને આ ચંડીયજ્ઞ યોજ્યો છે. કોપાયમાન દેવી પ્રસન્ન થશે તો અણુબૉમની આગ પણ