કાંઈ કરી નહિ શકે.’
આજકાલ તિલોત્તમાની નૃત્યપ્રવૃત્તિ બહુ વધી પડી છે.
પુત્રી પ્રત્યે માયા, મમતા ને સહાનુભૂતિ ધરાવનારાં લેડી જકલને પણ આથી અચરજ થઈ રહ્યું છે.
‘અલી તિલ્લુ, સાથે અષ્ટગ્રહીનું મોત ગાજે છે ત્યારે તને હજી નાચવાકૂદવાનું કેમ સૂઝે છે?’
‘મોત તો આવવાનું હશે તો આવશે જ, પણ તેથી અત્યારથી ઠૂઠવો મૂકીને રડવા બેસું ?’
પુત્રોની આ દલીલમાં માતાને તથ્ય જણાતું હતું.
તિલ્લુનો ઓરડો તો રાત ને દિવસ નૃત્યના ઠેકાથી ગાજી રહ્યો છે. ત્યાં તે આઠેય પર જતિસ્વરમ્ ને તિલ્લાણાના બોલ ગાજી રહે છે.
માતા પૂછે છેઃ ‘અલી તિલ્લુ ! આ તેં શું માંડ્યું છે?’
‘રિયાઝ કરું છું, મમ્મી.’
‘પણ એકલીએકલી ?’
‘કરવી જ પડે, રોજેરોજ પ્રેક્ટિસ ન કરું તો જે શીખી છું એ પણ ભૂલી જવાય.’
‘તો પછી આ ઢોલક કોણ વગાડે છે ?’
‘એ તો ટેઈપ–રેકૉર્ડ કરેલ છે. ટેપ વગાડીને જ હું રિયાઝ કરું છું.’
‘બળી આ તારી રિયાઝ. પ્રમોદકુમાર આ બધું જાણશે તો તારી સામે પણ નહિ જુએ.’
‘એ વાતમાં શું માલ છે ? નર્તિકાને જોઈને તો ભલભલા તપસ્વી પણ તપોભંગ થઈ જાય, તો પ્રમોદકુમાર કિસ ગિનતીમેં ? વિશ્વામિત્ર જેવા ઋષિ પણ મેનકામાં મોહ્યા હતા કે નહિ ?’