પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપિયો બદલાવો
૪૯
 


અને તિલ્લુની આ દલીલ સાવ સાચી જ પડી. શ્રીભવનમાં પ્રમોદકુમારની અવરજવર વધી પડી.

સર ભગન પણ સુખદ આનંદનો આઘાત અનુભવી રહ્યા. જે યુવાન સામે તિલ્લુ કૃપાદૃષ્ટિ પણ નહોતી કરતી, એને હવે એ પ્રેમભરી આંખે પોંખવા લાગી છે.

આ સુખદ પલટો શાને આભારી હશે ? પુત્રી આટલી કહ્યાગરી શાથી થઈ ગઈ હશે ? ગિરજા ગોર જોડે વાતચીતમાં સર ભગને આ અચરજ વ્યક્ત કર્યું. ત્યાકે એ ભૂદેવે તો આ પરિવર્તનનો યશ પણ આકાશી ગ્રહોને જ આપ્યો.

‘શેઠ, તમારું ગ્રહમાન આજકાલ જોર કરે છે.’

‘અષ્ટગ્રહી આવી રહી છે, તોપણ ગ્રહમાન જોર કરે ?’

‘કેમ નહિ? તમે સહસ્ત્રચંડીનો શુભ સંકલ્પ કર્યો એ જ મોટામાં મોટી ગ્રહશાંતિ ગણાય. અને એનું શુભ ફલ આવવાની શરૂઆત તો થઈ પણ ગઈ.’

‘પ્રમોદકુમારની જન્મકુંડલી...’

‘હું જોઈ ગયો છું.’

‘તિલ્લુના જન્માક્ષર...’

‘મેં સરખાવી લીધા છે.’

‘લગ્નયોગ કેવોક છે ?’

‘ઠીકઠીકનો.’

‘ક્યારે ?’

‘બે વાત છે.’

‘શી રીતે ?’

‘એમ કે લગ્ન થાય તો આ અષ્ટગ્રહીની આસપાસમાં જ થઈ જાય. અને ન થાય તો...’

‘તો ? તો શું ?’