હોય. તિલોત્તમાના પગના ઠેકા એવા તે જોરથી પડતા કે દીવાનખંડની છત ધ્રુજી ઊઠતી પણ બુચાજીને તો માથા પર કશો કર્કશ અવાજ થવાને બદલે ઝિન્નતની હુર નાચી રહી હોય એવો જ મધુર અનુભવ થતો, પોતાના જીવનમાં આવી પરિન્દા જેવી પરી પ્રાપ્ત થાય તો ઝિન્નત ભર રૂહે ઝમીન જેવું સુખ સરજાઈ જાય અને એવું સ્વર્ગ સમજી શકનારી શક્તિ તો અહીં શ્રીભવનમાં જ છે, એમ સમજાતાં તેઓ મનમાં ગણગણી રહેતા : હમીનસ્તો...હમીનસ્તો...હતીનસ્તો...
શ્રીભવનમાં બુચાજીની બેઠક એટલી તો વધી ગઈ કે ઓલિયાદોલિયા જેવા સર ભગનને પણ એમાં વહેમ આવ્યો.
‘કેમ બુચાજી ! આજે કોરટ નથી કે શું ?’
‘કોરટ છે, પણ કેઈસ જ ક્યાં છે ?’
‘સાવ બેકાર ?’
‘અરે ઝેર ખાવાનું દોઢિયુ બી ની મલે.’
‘આ પણ ગ્રહાષ્ટકની જ અસર હશે.’
‘અરે શું બાવા, આપ લોક આજકાલ ઝઘડતા બી નથી, કે જેથી અમને ગીની બે ગીની કમાવાની મલે.’
‘આજકાલ લોકો જીવવાનું કરે કે ઝઘડવાનું ? ગ્રહાષ્ટકમાં સહુની જિંદગી જ જોખમમાં છે, ત્યારે કોરટે ચડવાનું કોને સૂઝે ?’
‘આય તમે હિન્દુ લોક ગ્રહાષ્ટકથી ગભરાઈ બેઠા છો.’
‘પણ પ્રલય થશે ત્યારે એ પૂછવા નહિ રોકાય કે તમે હિન્દુ છો કે કોણ છો.’ સર ભગનની આવી આગાહીથી બુચાજી સાચે જ ગભરાયા. આમેય તેઓ અજંપો તો અનુભવતા જ હતા, એમાં આવી આવી વાતો સાંભળી તેથી એ અજંપો ઓર વધી ગયો. એ એકલવાયા જીવની બેચેની બમણી થઈ ગઈ. માથા પરની છતમાં વાગી રહેલા તિલોત્તમાના નૃત્યના તોડાઓ બૅરિસ્ટરના દિમાગમાં