પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


તિલ્લુનાં તિલ્લાણાંએ સાચે જ ત્રણ માણસનું ત્રેખડ રચ્યું હતું. કંદર્પકુમાર તો એના કલાગુરુ તરીકેના વાજબી હોદ્દાની રૂએ શિષ્યાના હાથ માટે ઉમેદવારી કરી રહ્યા હતા. પ્રમોદકુમાર તો વર્ષોથી તિલ્લુનાં તિલ્લાણાં ઉપર તાળીઓ પાડી રહ્યા હતા, પણ આ ગર્વીલી ને છકેલી, મનમોજી ને નટખટ યુવતી એને આજ સુધી દાદ દેતી નહોતી પણ અષ્ટગ્રહીના માનસિક દબાણ તળે સર ભગનનો સઘળો દલ્લો પડાવી લેવાની લાલચે હમણાં હમણાં એણે નાટક ભજવવા માંડ્યું હતું. એ નાટકના પ્રથમ અંકમાં પોતે એ સ્વાંગ સજ્યો કે આજ સુધી અણગમતા રહેલા પ્રમોદકુમાર હવે મને પસંદ છે. બીજી બાજુ પ્રકાશશેઠનો એ નબીરો પણ તિલ્લુનાં તિલ્લાણાંની મોહિનીમાં એવો ફસાયો હતો કે પરણું તે તિલોત્તમાને જ, બીજી બધીય યુવતીઓ મારે મન સાચી બહેન, એવા વસમા શપથ લઈ બેઠો હતો. તેથી જ, પ્રમોદકુમારને જ્યારે જાણ થઈ કે આજ સુધી અણનમ રહેલી એ નર્તિકા હવે મારી જોડે અદરાવા તૈયાર થઈ છે, ત્યારે એ તો, નૃત્યની કશીય તાલીમ વિના પણ, નાચી ઊઠેલો. તિલ્લુએ કરેલી લાંબી ઉપેક્ષાનું જાણે કે વ્યાજ સાથે સાટું વાળવા જ એ સવારે ને સાંજે બબ્બે વાર શ્રીભવનમાં આવવા લાગ્યો અને પોતાની ભાવિ વાગ્દત્તાનું સાંનિધ્ય સેવવા લાગ્યો.

આ ત્રિકોણનું ત્રેખડ કેમ જાણે હજી ઓછું હોય તેમ તિલોત્તમાએ પેલા હસમુખા બૅરિસ્ટર સામે પણ નિર્વ્યાજ હાસ્ય વેરીને એને ગાંડો કરી મૂકેલો. હાફિઝ અને ખય્યામની રંગદર્શી ખયાલાતોમાં વિહરતો એ એકાકી જીવ આજકાલ તિલ્લુ ઉપર જ અંતરનો સઘળો અર્ધ્ય ઠાલવી રહ્યો હતો.

તિલ્લુ નાચતી રહી. અને આ ત્રણેય જીવોને નચાવતી રહી.

અષ્ટગ્રહ યુતિ નજીક આવતી ગઈ તેમ તેમ શ્રીભવનના દેદાર