પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૯.
અંતનો આરંભ
 

‘આ મૂઆ વકીલે તો જે ઉપાડો લીધો છે!’ લેડી જકલે બુચાજી ઉપર રોષ ઠાલવ્યો.

‘એને તમે મૂઓ કહેશો તેમ એ વધારે જીવશે. પારસીઓ એંસી વરસથી ઓછી ઉમ્મરે ડુંગરવાડી પર જતા જ નથી.’

‘તે એના ઘરમાં પડ્યો પડ્યો ભલે ને એંસીને બદલે આઠસો વરસ જીવતો. અહીં મારી છોકરીને ખેધે શાને પડ્યો છે ?’

‘એ આમેય એકલવાયો જીવ છે. ને હમણાં હમણાં એને તિલ્લુનો કૉન્સર્ટ જોયા પછી નૃત્યનો નાદ લાગ્યો છે.’

‘ઉતર્યે કાળે ઉજાણી.’

‘એ પોતે હવે નૃત્ય શીખવા માગે છે.’

‘શિવ શિવ શિવ ! બુચાજી નૃત્ય શીખશે તો નૃત્યકારો શું કરશે ? હજામત ?’

‘એ ભલા જીવની ડાગળી જરાક ખસેલી છે.’

‘તે ડાગળી ખસેલી હોય તો પણ એ મારી તિલ્લુને ખેધે શાનો પડ્યો છે ?’

‘અક્કલનો ઓછો છે જ.’

‘પણ માંડ કરીને પ્રમોદકુમારનું ગાડું પાટે ચડી રહ્યું છે એમાં આવો વાચલ માણસ કાંઈક વિઘ્ન ઊભું કરશે તો ?’

‘એટલી એનામાં પાહોંચ ક્યાં બળી છે ?’

‘મને તો પેલા નાચણિયાના વિઘ્નની જ બીક લાગ્યા કરે છે હવે.’