પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંતનો આરંભ
૭૫
 

 ‘મર્સરાઈઝ્ડ મલમલ ભરી છે.’

‘એમાં આ ડબા ખડકી દો.’

‘પણ સાહેબ, મલમલ મસરાઈઝ્ડ...’ મહેતાજીએ સાવ નાજુક અવાજે આ શબ્દો ઉચ્ચાર્યા, કેમ કે વાત નાજુક હતી, અને મામલો પણ નાજુક હતો. શ્રીભવનમાંનું ભૂગર્ભ ગોદામ ખરેખર–ભેદી હતું. મૂળ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આ છૂપું ગોદામ સંકટકાલમાં દારૂગોળો સંઘરવા માટે બાંધેલું પણ સર ભગનના હાથમાં આ મિલકત આવ્યા બાદ એ ભૂગર્ભ ભોંયરાનો ઉપયોગ તેઓ સિક્કા વગરનો મર્સરાઈઝ્ડ માલ છુપાવવા માટે કરતા.

‘એ મલમલ કાઢીને ઘીના ડબા ભરી દો.’

‘પણ સાહેબ, આ મર્સરાઈઝ્ડ...સુપરફાઈન માલ...’

‘સુપરફાઈન માલ કરતાંય, સહસ્ત્રચંડી યજ્ઞ વધારે મહત્ત્વનો છે.’

‘જી સાહેબ.’

‘મજૂરોને બોલાવીને બધું ફેરવી નાખો.’

‘જી...’

શેઠજીએ માંડ કરીને એક મહેતાજીને પતાવ્યા ત્યાં તો બીજા ઊભા જ છે.

‘ભૂદેવોનો ભરાવો વધતો જાય છે.’ મિલોમાં ગાંસડીઓના ભરાવા અંગે ફરિયાદ કરવાની હોય એ શૈલીમાં મહેતાજીએ રાવ ખાધી.

પણ ગાંસડીઓને ભરાવો વધે ત્યારે તો એના ભાવ ગગડે જ્યારે આ ભૂદેવોના ભરાવામાં એ નિયમ લાગુ પડતો નહોતો.

‘આટલે બધો ભરાવો શાથી થયો ?’ શેઠજીએ પૂછ્યું.

‘સર્વજણ નોતરાને લીધે.’

‘એટલે ?’

‘ગિરજાએ દેશ આખામાં નોતરું ફેરવી દીધું છે.’

‘દેશ આખામાં ?’