‘આપણા બીજા બધા બંગલાઓ ઉઘડાવી નાખો, અને એમાં નવાં રસોડાં ખોલાવી દો.’
‘એ તે ઉઘડાવી જ નાખ્યા છે.’
‘તો પણ હજી સંકડાશ પડે છે ?’
‘જી, હા.’
‘તો આપણાં ગેસ્ટ હાઉસો વાપરવા માંડો.’
‘ગેસ્ટ હાઉસ ?’
‘કેમ ? એ ન વાપરી શકાય ?’
‘પણ એ તો ગોરા સાહેબો માટે.’
‘અરે, હવે માથે મહાકાળ તોળાઈ રહ્યો છે ત્યારે કાળા-ગોરાના ભેદ શાના પાડવા ? કોને ખબર છે કાલની ?’
સર ભગન આજકાલ સંસારની અને સૃષ્ટિની ક્ષણભંગુરતાની જ મનોદશામાં હતા.
મહેતાજીઓ, મુનીમો, મંત્રીઓ વગેરેની એક પછી એક ફરિયાદનો પોતે નિકાલ લાવતા જતા હતા એવામાં જ શ્રીભવનના માળીએ આવીને ફરિયાદ કરી :
‘શેઠજી !’
‘અલ્યા, તું હજી ફરિયાદ કરવામાં બાકી રહી ગયો હતો ?’
‘શેઠજી, મારે કાંઈ ફરિયાદ કરવાની નથી.’
‘ત્યારે શા માટે આવ્યો છો !’
‘આપણા વકીલસાહેબ છે ને.’
‘કોણ ? બુચાજી?’
‘જી, હા.’
‘એ તો હજી હમણાં સુધી અહીં હતા ને ?’
‘જી, ના. એ થોડી વાર સામે બગીચાને બાંકડે બેઠા હતા.’
‘તે શું છે હવે ? ચા પીને ચાલ્યા ગયા છે કે નહિ ?’
‘જી નહિ, એ બેશુદ્ધ થઈ ગયા છે.’