પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંતનો આરંભ
૭૭
 


‘આપણા બીજા બધા બંગલાઓ ઉઘડાવી નાખો, અને એમાં નવાં રસોડાં ખોલાવી દો.’

‘એ તે ઉઘડાવી જ નાખ્યા છે.’

‘તો પણ હજી સંકડાશ પડે છે ?’

‘જી, હા.’

‘તો આપણાં ગેસ્ટ હાઉસો વાપરવા માંડો.’

‘ગેસ્ટ હાઉસ ?’

‘કેમ ? એ ન વાપરી શકાય ?’

‘પણ એ તો ગોરા સાહેબો માટે.’

‘અરે, હવે માથે મહાકાળ તોળાઈ રહ્યો છે ત્યારે કાળા-ગોરાના ભેદ શાના પાડવા ? કોને ખબર છે કાલની ?’

સર ભગન આજકાલ સંસારની અને સૃષ્ટિની ક્ષણભંગુરતાની જ મનોદશામાં હતા.

મહેતાજીઓ, મુનીમો, મંત્રીઓ વગેરેની એક પછી એક ફરિયાદનો પોતે નિકાલ લાવતા જતા હતા એવામાં જ શ્રીભવનના માળીએ આવીને ફરિયાદ કરી :

‘શેઠજી !’

‘અલ્યા, તું હજી ફરિયાદ કરવામાં બાકી રહી ગયો હતો ?’

‘શેઠજી, મારે કાંઈ ફરિયાદ કરવાની નથી.’

‘ત્યારે શા માટે આવ્યો છો !’

‘આપણા વકીલસાહેબ છે ને.’

‘કોણ ? બુચાજી?’

‘જી, હા.’

‘એ તો હજી હમણાં સુધી અહીં હતા ને ?’

‘જી, ના. એ થોડી વાર સામે બગીચાને બાંકડે બેઠા હતા.’

‘તે શું છે હવે ? ચા પીને ચાલ્યા ગયા છે કે નહિ ?’

‘જી નહિ, એ બેશુદ્ધ થઈ ગયા છે.’