પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૦.
અષ્ટગ્રહીનાં એંધાણ
 

સર ભગન તો પ્રકાશશેઠને ફોન ન જોડી શક્યા, પણ જોતજોતાંમાં સર ભગન ઉપર ઉપરાઉપરી ફોન આવવા માંડ્યા.

એ સંદેશાઓમાં ચિંતા, આઘાત, આનંદ અને આગાહીઓનું સુંદર સંમિશ્રણ હતું.

બજારનાં સ્થૂલ બારણાં તો અત્યારે, મધરાતે બંધ હતાં, છતાં નાણાંબજાર નામની એક અપાર્થિવ ને અદૃષ્ટ છતાં અત્યંત સંવેદનશીલ વસ્તુ અત્યારે હાલકડોલક જણાતી હતી. પ્રકાશશેઠ પાણીમાં બેસી જાય એના છાંટા અનેક ઉદ્યોગપતિઓને ઊડે એમ હતા. તેથી જ સૂકા ભેગું લીલું પણ બળી રહ્યું હતું.

અણુના વિભાજનમાંથી પ્રત્યાઘાતપરંપરા ઊભી થાય એ ઢબે પ્રકાશજૂથના દેવાળાનો ધક્કો સંખ્યાબંધ ઔદ્યોગિક પેઢીઓને વાગી રહ્યો હતો. રેલગાડીના એંજિનનો ધક્કો દરેક ડબામાં થઈને છેક ગાર્ડ–વાન સુધી વિસ્તરી રહે એ ઘાટ થયો હતો. મોટાંના મેલાણમાં જે નવાણિયાં કુટાઈ ગયાં હતાં એમની ફરિયાદો સર ભગન ઉપર આવી રહી હતી.

‘મારી નાખ્યા...મારી નાખ્યા...’

‘નામચીન વેપારી મારી ખાય ને નામચીન ચોર માર્યો જાય એ વાત સાવ સાચી પડી.’

‘પ્રકાશશેઠનાં તો નામ મોટાં ને દર્શન ખોટાં જેવું જ થયું. મોટાંની મોટી પોલ નીકળી.’