પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અષ્ટગ્રહીનાં એંધાણ
૮૩
 

સર ભગન લેડી જકલના આ હુકમને શિરસાવંદ્ય ગણીને શાન્ત થઈ ગયા.

‘તો પછી પ્રકાશશેઠની સંડાસ-લાઈન જોડું ?’

ક્રુશોફ ને કૅનેડી જેવા માંધાતાઓ ઠંડા યુદ્ધને ગરમ યુદ્ધમાં પલટાતું અટકાવવા મોઢામોઢ વાત કરી શકે એ ઉદ્દેશથી ક્રેમલીન અને વ્હાઈટ હાઉસ વચ્ચે ‘ગરમાગરમ’ દોરડાની હૉટ ટેલિફોન લાઈન નંખાઈ એ પહેલાં જ ઉદ્યોગક્ષેત્રના આ બે મહારથીઓ સર ભગન અને પ્રકાશશેઠ વચ્ચે ટેલિફોનની આવી એક આગવી ખાનગી લાઈન કામ કરતી જ હતી. કોઈ વાર આ બેઉ માંધાતાઓ શૅરહોલ્ડરોને નવરાવવા માગતા હોય કે શૅરબજારમાં તારવણી કરનારાઓને તારાજ કરવા ઈચ્છતા હોય કે, બજારમાં ખાનગી ખેલો કરીને મલાઈ જમી જવાની પેરવીમાં હોય ત્યારે ત્યારે તેઓ આ ખાનગી ટેલિફોન લાઈનનો ઉપયોગ કરતા. કહેવાતું કે પ્રકાશશેઠે એમના જીવનના બધા જ મહત્ત્વના અને કટોકટીભર્યા નિર્ણય શૌચકૂપ પર બેઠેબેઠે જ લીધા હતા. સાદ્યંત સંગેમરમર વડે સુશોભિત એ શૌચગૃહ તો પ્રકાશશેઠ માટે એક પ્રેરણાસ્થાન બની રહેલું. આજે એકાએક પાઘડી ફેરવવાનો શકવર્તી નિર્ણય પણ એમણે આ પવિત્ર સ્થાને જ લીધો હશે એ બાબતમાં સર ભગનને લવલેશ શંકા નહોતી. તેથી જ તેઓ ત્યાં ફોન જોડવા થનગની રહ્યા હતા, પણ લેડી જકલ એ સામે વાંધો લઈ રહ્યાં હતાં.

‘બળ્યો એ ટેલિફોન ને બળી એ વાતચીત.’

‘અરે એમ તે બોલાય ? પ્રકાશશેઠ એટલે કોણ ? ગમે તેમ તોય, આપણા ભાવિ વેવાઈ.’

‘હવે શાના વેવાઈ ? એ દેવાળિયાને ઘરે હવે દીકરી આપે છે મારી બલારાત.’

‘અરે, એ શું બોલ્યાં ?’

‘સાચું જ બોલી છું.’