પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૧૫
 

ઓગળે છે'. 'ઘર વગરનાં દ્વાર' 'નાટક વગરનો જીવ', 'નાટક સરીખો નાદર હુન્નર', ‘નૂતન નાટ્ય આલેખો' અને 'રૂપકિત' જેટલાં નાટકો અને નાટક વિશેની સમીક્ષાના ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાંય 'અંતિમ અધ્યાય', 'દર્શક'નાં ત્રણ લઘુનાટકોનો સંગ્રહ છે, 'બાથટબમાં માછલી' લાભશંકર ઠાકરનાં સાત એકાંકીનો સંગ્રહ છે. 'ધુમ્મસ ઓગળે છે' એ રમેશ શાહનાં દસ એકાંકીઓનો અને 'ઘર વગરનાં દ્વાર' એ રવીન્દ્ર પારેખનાં ચાર એકાંકીઓનો સંગ્રહ છે. આ ચારેય એકાંકી સંગ્રહોનું અવલોકન કર્યું છે. જે નાટકો વિશે કોઈ વિશેષ સમીક્ષા મળતી નથી. પછીના ચાર ગ્રંથોમાં 'નાટકનો જીવ' ઉત્પલ ભાયાણીનો નાટકની સમીક્ષાનો ગ્રંથ છે. 'નાટક સરીખો નાદર હુન્નર' હસમુખ બારાડીની નાટકની અને રંગભૂમિની દશા-દિશાની ચિંતા કરે છે. 'નૂતન નાટ્ય આલેખો'માં સતીશ વ્યાસ નવાં નાટકોની ઇયત્તા અને મંચનક્ષમતાની દૃષ્ટિએ સમીક્ષા કરે છે. 'રૂપકિત' કૃષ્ણકાન્ત કડકિયાની નાટ્ય સમીક્ષાનો ગ્રંથ છે. લવકુમાર દેસાઈ આ આઠેય ગ્રંથોની પરિચયાત્મક સમીક્ષા કરે છે. પછીના ચાર ગ્રંથો તો પોતે જ સમીક્ષા ગ્રંથો છે. આથી આ સમીક્ષક સમીક્ષાનીય સમીક્ષા આપે છે. આ સમીક્ષામાં યોગ્ય દિશાનાં માર્મિક સૂચનો પણ મળે છે. 'નાટકનો જીવ' વિશે કહે છે કે 'નાટ્યધર્મ' ઉત્પલ ભાયાણીએ એકાદ અર્વાચીન ગુજરાતી નાટકને તપાસવાનો ઉપક્રમ સેવ્યો હોત તો 'ઘરના દીવા'ની અવગણના થઈ રહી છે તેવો વાચકોને અહેસાસ થાત નહીં.'૫૭ 'નાટક સરીખો નાદર હુનર' વિશેની ચર્ચામાં હસમુખ બારાડીના વિચારને પામીને તેની સમીક્ષા કરી છે. આક્રોશપૂર્ણ રીતે આરંભના લેખોમાં મુકાયેલો વિચાર 'કોઈ નિશાળનું ચોગાન પણ ચાલે...' એ લેખમાં જુદો પડે છે. બારાડી સતત એમ માનતા રહ્યા છે કે લેખક અને નટચમૂ વચ્ચે નજીકતાનો સંબંધ હોવો જોઈએ કે લેખક મંચ વિશે મંચલિપિની જાણકારીવાળો હોવો જોઈએ પણ આકંઠ – સાબરમતીના લીલાનાટ્યની ચર્ચા કરતી વખતે તેમણે એ આગ્રહને વ્યક્ત કર્યો નથી. એ લેખ બાબતે લવકુમાર દેસાઈ યોગ્ય રીતે જ કહે છે કે 'અહીં શ્રી બારાડીનો સિંહનાદી અવાજ અ-બુલંદ બની ગયો છે. માત્ર પીઠ થાબડવાની પ્રવૃત્તિ વિશેષ લાગે છે.'૫૮ આગળના આક્રોશપૂર્ણ લેખો અને તેમની બહુશ્રુતતાને કારણે રૂઢ કરેલ આગ્રહોને વિશે એમ જ કહેવું યોગ્ય છે. આ મીઠા બોળ્યા ચાબખાને બદલે એ થિયેટરો અને વિભિન્ન નાટ્યશૈલીઓ વિશે તેમણે વિસ્તૃત અધિકૃત અભ્યાસ લેખો આપ્યા હોત તો વધુ ઉચિત ગણાત. છતાંય તેમને ન્યાય આપવા ખાતર નોંધવું રહ્યું કે આ પ્રકારના ઉગ્ર આક્રોશમાં કટાક્ષ કે કરુણતાનો ભાવ નથી, ભારોભાર વ્યથા અને વેદના કંડારાયેલા છે.'૫૯ 'નૂતન નાટ્ય આલેખો' વિશેની સમીક્ષામાં તેમણે કહ્યું છે કે 'સતીશ વ્યાસે સમીક્ષામાં માનવીના સંકુલ મનની લીલાને પ્રગટ કરનારાં