પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

તારક મહેતા આદિને યાદ કરે છે અને તુલનાત્મક સંદર્ભ માટે 'આજકે રંગનાટક' પુસ્તકની સમાચોલના પણ આપી છે. જેમાં મોહન રાકેશ, ગિરીશ કર્નાડ, બાદલ સરકાર અને વિજય તેંડુલકરનાં નાટકો પ્રકાશિત થયાં છે. ગુજરાતી નાટક અને રંગભૂમિના ભાવિની ચિંતા સાથે આ લેખ તેમણે પૂરો કર્યો છે. ગુજરાતી એકાંકી એ લેખમાં તેમણે એકાંકીનો તબક્કાવાર ઇતિહાસ આપ્યો છે. ૧૯૮૩ સુધીના એકાંકીના વિકાસ ક્રમ પર વિહંગ દૃષ્ટિ ફેંકી એકાંકીના ક્ષેત્રને વધારે સમૃદ્ધ બનાવનારા સર્જકો વિશે વિગતે ચર્ચા કરી છે. એકાંકીની સ્થિતિ વિશે ચિંતા કરતાં કહ્યું છે કે 'એકાંકીના સ્વરૂપની માવજત પ્રત્યે તો સતત દુર્લક્ષ જ રહ્યું છે. કોઈપણ પ્રકારનું એકાંકી હોય, વાચાળતાનો રોગ આજે પણ સામાન્ય રહ્યો છે. સંવાદના વિકલ્પ રંગભૂમિનાં વિવિધ માધ્યમોની શક્યતા તપાસતાં એકાંકીઓ હજી પણ શોધવાં પડે એમ છે.'૯૧ ત્રીજું પ્રકરણ ગુજરાતી પ્રયોગિક રંગભૂમિ વિશે વાત કરે છે. જૂની અને નવી રંગભૂમિ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરી રંગભૂમિ પર થયેલા પ્રયોગની ચર્ચા તેમણે કરી છે. રંગભૂમિ કલ્પનાશીલ શૈલી છોડીને વાસ્તવિક વાસ્તવધર્મી શૈલી અપનાવે છે. વ્યવસાયી રંગભૂમિ અનેક અવનવા પ્રયોગો કરે છે. ગુજરાતી પ્રાયોગિક રંગભૂમિ ઘણી સંસ્થાઓ, દિગ્દર્શકો અને અભિનેતાઓથી સમૃદ્ધ હતી. વિષય અને અભિવ્યક્તિ રીતિમાં ફેરફાર કરી નવી સંવેદનાને રંગમંચ પર વ્યક્ત કરવાનો પ્રયત્ન લગભગ સહુએ સાથે મળીને કર્યો. મુંબઈ, ગુજરાતની વ્યવસાયી સંસ્થાઓને ભાગ્યે જ કશો લાભ થયો હશે.'

આ ત્રણે સર્વેક્ષણમાં જે આ નાટકના જીવની ચિંતા છે તે આ છે 'મૌલિક એકાંકી' નાટક અને ગુજરાતી રંગભૂમિ મોટે ભાગે એકબીજાને મળતા નથી અને બંનેનો વિકાસ આથી રૂંધાયો છે. જ્યાં સુધી પરસ્પરની ઉદાસીનતા દૂર નહીં થાય, બંને એકબીજા સાથે કામ નહીં કરે. ત્યાં સુધી ગુજરાતી નાટક કે ગુજરાતી રંગભૂમિ મૃત:પ્રાય સ્થિતિમાં હશે એ દેખીતું છે. ૯૨ 'કેટલીક કૃતિઓ'માં કેટલીક કૃતિઓ વિશે કૃતિલક્ષી આમ તો પરિચયાત્મક સમીક્ષા – અવલોકનો કર્યા છે. તેમાં 'સોયનું નાકું' એકમાત્ર ગુજરાતી નાટક છે. અહીં 'એક્વસ' પીટર શેફર કેનિડા (શો) એલિયટની બિલાડી સૃષ્ટિમાં, હેન્રી ફોર્થ (પીરાન્દેલો) ઓર કલકત્તા, તપસ્વી અને તરંગિણી અને પગલા ઘોડા નાટકનો પરિચયાત્મક આલેખ આપ્યો છે. મિસ જૂલીના એક સ્વગતોક્તિની અને યુકિયા મિશિમાના નોહ નાટકોનો પરિચય આપ્યો છે. ઉત્પલ ભાયાણી ભજવાતા નાટકની ચર્ચા કરે છે ત્યારે જુદા નથી લાગતા. અલબત્ત, નાટકની શક્યતા કે મંચનક્ષમતા વિશે તેમણે બહુ ઓછી ચર્ચા અહીં કરી છે. આ બધાં નાટકોમાંથી એમની આંગળી ઝાલીને પસાર થવું એ વધારે સારો પ્રયાસ ગણાયો. ભાવક સહજતાથી આ નાટકોને પામી શકે એમ સહજ સરલ બાનીમાં