પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટઃ ૨ નાટકનો ઇતિહાસ અને સંશોધન ⬤ ૧૬૩
 

મહેશ ચોક્સીએ 'ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર નાટકો', મતલાલ ભાવસારે 'ગુજરાતી સાહિત્યમાં એકાંકી : સ્વરૂપ, ઉદ્દભવ અને વિકાસ' જેવામાં નાટકોના ઉદ્‌ભવ – વિકાસનું ચિંતન – મૂલ્યાંકન કર્યું છે – તો તુલનાત્મક દૃષ્ટિએ ગુજરાતી અને મરાઠી નાટકોની તુલના કરી છે. જગદીશ જે. દવેએ. 'ગુજરાતી અને મરાઠી. સામાજિક નાટકોનું તુલનાત્મક અધ્યયન' આ પુસ્તકમાં બંને ભાષાઓના પહેલા સામાજિક નાટકથી માંડીને તેના વિકાસની તબક્કાવાર તુલના તેમણે કરી છે. 'ગુજરાતી અર્વાચીન નાટકોમાં સમાજ નિરૂપણ' એ શોધ નિબંધ પ્રફુલ્લચંદ્ર મહેતાનો છે તે પણ ધ્યાનપાત્ર છે. વિનોદ જોષી 'રેડિયોનાટક : શિલ્પ અને સર્જન' જેવા વિશિષ્ટ વિષયમાં કામ કરે છે તો કનૈયાલાલ શાસ્ત્રી 'પારસીઓનો ગુજરાતી રંગભૂમિમાં ફાળો' એ વિષય પર સંશોધન કરે છે. આ ઉપરાંત મહેશ ચંપકલાલ શાહ ભરત નાટ્યશાસ્ત્રનો આધુનિક સંદર્ભ તેમના શોધ પ્રબંધમાં આલેખે છે. નાટક અને રંગભૂમિ વિશે આ રીતે સંશોધનો થયાં છે. આ સંશોધકોમાં આદ્ય જો ગણવા હોય તો રમણીક યાજ્ઞિકને ગણી શકાય. તેમણે 'ધ ઇન્ડિયન થિયેટર' એ વિષય પર સૌથી પહેલા શોધ પ્રબંધ લખ્યો હતો. નાટક સંશોધનથી સમૃદ્ધ થતું હોય છે. પરંતુ અહીં જે સંશોધકો છે તેમાંથી ભાગ્યે જ કોઈ સંશોધક એ પછી નાટ્યસમીક્ષક તરીકે પ્રગટ થતો જણાય છે.