પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૪૧
 

નથી. પડદા પડે ને ઊપડે તથા અમુક રંગેલા પડદા વારાફરથી પાડવાના હોવાથી, અમુક જાતના દિવ્ય સૃષ્ટિ ને માનવ સૃષ્ટિને લગતાં ટૂંકાં ટૂંકાં દૃશ્યો, ને ગાયન મિશ્રિત સનસનાટી ભરેલો વાર્તા પ્રલાપ, ચાલ્યા જ કરે છે."૨૭ શ્રી રાધા પ્રેમભક્તિના નાટ્યપ્રયોગ વિશે કહે છે 'અહીં રીતસર વિકાસ જેવું કશું નથી, પૂર્વાપર સંબંધ સળંગ જળવાયો નથી, અને શ્રી કૃષ્ણની લીલાના ભાગલા કરી, પડદા આગળ, એક પછી એક વેગળા રજૂ કરી કૃષ્ણ મહાત્માનો ઉપદેશ કરવાનો શ્રમ સેવ્યો છે. આ અદ્‌ભુત, લીલાને ચમત્કાર પરંપરામાં જ અપાર કલાને રસિકતા ને વિવિધ આનંદની શક્યતા ભારોભાર ભરી હોવા છતાં ગોપી લલિતાના મૂર્ખ ગોપાલ પતિ ઋષભનું પ્રહસન – કંઈક અશ્લીલ તત્ત્વ સહિત રજૂ થાય છે, પત્નીનાં કપડાં પહેરી સાળાવેલીને એ આલિંગન કરે છે. ઉપરાંત એક દૃશ્ય જે ઇટાલીના સ્વયં સ્ફુરિત ગ્રામ્ય નાટકોમાં હતું તે છેક યુવતીઓને નગ્ન દશામાં રંગભૂમિ ઉપર જોવાનો અત્યંત મોહ ઘણા દેશ-વિદેશભરના પ્રેક્ષાગૃહોમાં હતો અને છે, આ જ લાલસાથી ગોપી વસ્ત્રાહરણનું દૃશ્ય, આ નાટકમાં રજૂ કરવામાં આવ્યું છે, છતાં ન્યાયની ખાતર એ પણ કહેવું જોઈએ કે ઇટાલીમાં રીતસર સ્ત્રીઓ જે સુંદર લાગે તે હિંદમાં છોકરાઓ, સ્ત્રીના સ્વાંગમાં, અડધા વસ્ત્રોથી ના જ લાગે. ઉપરાંત, કવિએ આખા પ્રસંગ ઉપર નાનું રહસ્ય સૂચક ભાષ્ય રચિને, વૃત્તિને ઉશ્કેરવા કરતાં સંકેલી લીધી છે.'૨૮

આગળ ઉપર આ જ લેખમાં તેમણે પાત્રાલેખન અને નાટકનાં આલેખન વિશે કહ્યું છે કે 'જીવંત પાત્રાલેખનનો અભાવ હોવાથી વસ્તુવિકાસ પણ કલાયુક્ત બની શકતો નથી. 'તે... પાત્રોનાં માનવતત્ત્વો અને સ્વાભાવિક ક્રમશઃ વિકાસ વાર્તાનો વ્યાપાર નહીં હોવાથી, દેવતાઈ ચમત્કારોથી પ્રસંગોની ગૂંથણી કરેલી જોવામાં આવે છે. ૨૯ નાટકની આલેખન શૈલીમાં, દેવતાઈ ચમત્કાર, અદ્‌ભુત સૃષ્ટિના પલકારા, વેશપલટાની પદ્ધતિ, નાટકીય ઢબે વ્યંગાત્મક, કવિની ન્યાયબુદ્ધિ, ગાયન વિભાગ, રસસંભાર, દૃશ્ય સામગ્રીની યોજના, ભાષા ને શૈલી, આદિના વિનિયોગની પ્રસ્તુતતા વિશે તેમણે નોંધ કરી છે. ઉપસંહારમાં તેમણે નોંધ્યું છે કે - આપણા નાટ્યકારો ઉપર જાણે કે અજાણ્યે પુષ્કળ 'પાશ્ચાત્ય સંસ્કારો' પડ્યા છે. એટલું જ નહીં લોકનાટ્ય ભવાઈનો પણ પ્રભાવ રંગભૂમિએ ઝીલ્યો છે' એમ તેમણે કહ્યું છે. ભક્તિ- પ્રધાન નાટકો એ માત્ર ગુજરાત જ નહીં ભારતીય રંગભૂમિ પર અસંખ્ય લોકોને પ્રિય થયા છે. તેમના આ લેખને બારમા સાહિત્ય સંમેલન વખતે સુવર્ણચન્દ્ર મળ્યો હતો. તેમનો આ લેખ આમેય ઘણો વિદ્વત્તાપૂર્ણ છે. તેમણે સમીક્ષાત્મક ઢબે નાટ્યપ્રયોગોની ચર્ચા કરી છે.

'ગુજરાતનું થિયેટર' એ લેખમાં ગુજરાતની રંગભૂમિના આરંભ-વિકાસનો