પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

ચિતાર તેમણે આપ્યો છે. ગુજરાતી રંગભૂમિનો ચિતાર નહીં ચિંંતા પણ તેમણે કરી છે. આપણાં આ નાટ્યગૃહોમાં જે ભોજકભાઈઓ કામ કરે છે તે મોટે ભાગે અશિક્ષિત અને બિનકેળવાયેલા હોવાથી બૂમાબૂમ વધુ કરે છે. ને નાના દેખાવડા છોકરાઓ આજે પણ સાડી પહેરી, હાવભાવથી પ્રેક્ષકોનું દિલ રંજન કરવાનો પ્રયત્ન કરે છે. હાર્મોનિયમ અને તબલાં બસૂરી ધમાધમ કરી મૂકે છે. અને ગાનારાના શબ્દો પૂરા ઝિલાતા ન હોવાથી પ્રેક્ષકો, વીજળીની રોશનીમાં ઓપેરા બુક ઉઘાડી ભેગા ગાવા લાગે છે. દૃશ્ય સામગ્રીનો પૂરો ભપકો ને 'ટ્રાન્સફર' સીન ને 'ટેબ્લો'ની અજબ મોહિની આંજી નાંખવા માગે છે, પણ ઔચિત્યબુદ્ધિ કે પ્રમાણબુદ્ધિનું કશું ઠેકાણું ન હોવાથી ભાગ્યે જ કોઈ જાતનો સુમેળ જોવા મળે છે. નાટકનો અર્થગંભીર ભાગ એક નટ તૈયાર કરાવે, બીજો 'ફારસ'ની તાલીમ આપે, ત્રીજો સંગીતની તરજો બનાવે, તે માટે મૂળ લેખક ઉપરાંત જુદો કવિ ગાયનો લખે અને નાચ રંગ માટે નાના છોકરાઓને એક સ્ત્રીપાઠનો નટ અમુક પ્રકારની શિસ્ત પાળવાનું શીખવે ! નાટકનું પુસ્તક છપાય નહીં, લેખકનું નામ નહીં ને સર્વત્ર પૈસાપાત્ર માલિકના જ બધા હક્કની વાત.'30 આપણી રંગભૂમિના આ હાલ હતા. આ લેખમાં જ તેમણે ચંદ્રવદન મહેતાના 'ગુજરાતનું નટઘર'ના સ્વપ્નની વાત કરી છે.

'આઇરિશ રંગભૂમિ' એ લેખમાં 'એબિ થિયેટર'ના ઉદ્‌ભવની રોમાંચક ઘટના વિશે ચર્ચા છેડી છે, એબિ થિયેટરનો તબક્કાવાર ઇતિહાસ તેમણે નોંધ્યો છે, ને કેટલીક વિશિષ્ટ કૃતિઓ જેવી કે 'કેથલીનની હુલીહન','ધી પ્લે બોય', 'દ એદ્રિ', 'રાઇડર્સ ટુ ધિ સી', 'જ્યુનો એન્ડ ધી પેકોક', 'ધી સિલ્વર ટેસી' જેવાં નાટકોની કથાનો પરિચય કરાવ્યો છે. તેના ઉત્તમ, લેખકો, કલાકારોની પ્રશંસા કરી છે. આઈરિશ રંગભૂમિના લાક્ષણિક તત્ત્વની ચર્ચા કરતાં સમાનાન્તર મરાઠી-બંગાળી આદિ નાટ્યમંડળીઓની તુલના પણ કરી છે. તેની લાક્ષણિકતામાં એક તો રાષ્ટ્રપ્રેમ કેન્દ્રમાં હોય છે. 'આઇરિશ નાટ્યકારો, કવિઓ, નટો ને પ્રયોજકો, આઇરિશ વાર્તાઓ ઐતિહાસિક ઘટના કે દંતકથા અને દેશનું પ્રાચીન ગૌરવ પ્રકાશે વર્તમાન સ્થિતિનું વાસ્તવિક દૃશ્ય આપે ને ભાવિની ઉજમાળી આશા બાંધે. રંગભૂમિ ઉપર, નાટ્યગૃહોમાં ને પ્રચારમાં એક જ ધ્યેય આઇરિશ માતાને ચરણે.'૩૧ બીજી લાક્ષણિકતા ગેય તત્ત્વ, આઇરિશ રંગભૂમિ પર ગેય તત્ત્વોનો વિશેષ વિનિયોગ થાય છે. કલાનો ઉપયોગ કે આવિષ્કાર, સ્વાભાવિક છતાં મનહર વાતાવરણ પર અવલંબે છે તેવી સ્પષ્ટ માન્યતા ત્યાંની છે. ત્રીજી લાક્ષણિકતા પ્રતીકનો નાટકોમાં વિનિયોગ છે. 'આઇરિશ રંગભૂમિ, જે વિવિધ પ્રતીકનો ઉપયોગ કરે છે તે અજબ આકર્ષણથી ખેંચ્યા વિના રહેતો નથી, જેમ જેમ આ નાટિકાને મનમાં ઘૂંટો તેમ તેમ વધારે ચારુ ગંધ વિલણ્યા જ કરે છે, એનો રસાસ્વાદ જુદો જ છે. છતાં આપણે એ પણ વિસરવાનું