પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

ઇતિહાસ અને મહિમા વિશે ચર્ચા કરી છે. રંગમંચ લંબચોરસ જ નહીં ગોળ, અષ્ટકોણ, બે બાજુ પ્રેક્ષક અને વચ્ચે લંબચોરસ રંગમંચ આદિના પ્રયોગો વિશે ચર્ચા કરતાં તેમણે કહ્યું છે કે 'એક થિયેટર એટલે એના પ્રેક્ષકોની ગોઠવણી એવી હોવી જોઈએ કે જેથી એક અભિનયકાર પ્રેક્ષકવૃંદમાંથી ગમે તે પ્રેક્ષકને સ્પર્શી શકે.૩૩ 'કેટલાક દોષો'માં શિસ્તપાલન, અભિનયકારોનો એકબીજા પ્રત્યેનો સહકાર, ભાષણોમાં એકધારાપણું, સંવાદોમાં અખંડિત પ્રવાહ જોઈએ તે હોતો નથી, પરાકાષ્ઠાની ક્ષણ નિર્બળતાથી બતાવવી આદિ દોષો વિશે ચર્ચા કરી છે. શિસ્તપાલનથી જ આમ તો આ બધા દોષોનો ઉકેલ આવી જાય છે કે આવી જવો જોઈએ. દિગ્દર્શક પોતાની ફરજ બરાબર બજાવે તો મોટે ભાગે કશો વાંધો આવતો નથી. 'નાટકની પસંદગી કરવા બાબતે તેમણે નોંધ્યું છે કે નાટકની પસંદગી માટે માત્ર એક જ સિદ્ધાંત રાખવો જરૂરનો છે કે નાટક એક કલાકૃતિ છે. જેમ કલાકૃતિ કલ્પનાને ઉત્તેજિત કરવા માનવીઓને આનંદ આપવા અને બુદ્ધિનો વિકાસ સાધવામાં ઉપયોગમાં આવે છે તેમ એક નાટક પણ પછી એ કરુણાંત હો કે સુખાંત હો કે પછી પ્રહસન હો પણ એ બધું કાર્ય કરી શકવા સમર્થ હોવું જોઈએ.'૩૪ નાટકની પસંદગીમાં ચાર સાદા નિયમો ધ્યાનમાં રાખવા કહે છે. 'એક, દિગ્દર્શકને ગમવું જોઈએ, બીજું, અભિનય કરનારને એનાથી આનંદ મળવો જોઈએ, ત્રીજું, એનાથી ઑડિયન્સને આનંદ મળવો જોઈએ, ચોથું, એને રંગમંચ પર રજૂ કરવામાં અસાધારણ મુશ્કેલી પડતી નહીં હોવી જોઈએ. આ ઉપરાંત, તે નાટકની રજૂઆતમાં આપણને કેટલો ખર્ચ થાય તેનો પણ અડસટ્ટો આપણે કાઢવો રહ્યો.૩૫

આમ નાટક પસંદગીની વ્યવહાર સમજ પણ તેમણે કેળવવાની કહી છે. પછીના પ્રકરણ 'કેવા નાટક ભજવવા'માં તેમણે ધ્યાનપાત્ર વાત કરી છે. 'ભજવનારની તાકાત હોય, દિગ્દર્શકની શક્તિ હોય તો ગમે તે નાટક તેઓ ભજવી શકે.'૩૬ તેમણે કેવું નાટક ભજવવું અને કેવું ન ભજવવું. તેના વિશે સ્પષ્ટતા કરી છે. જેમાં કોઈએ યાદગાર અભિનય કર્યો હોય, કે ટેક્‌નિકની દૃષ્ટિએ ભજવી શકાય તેવાં ન હોય તો તેવાં નાટકો ભજવવાં નહીં. આ પ્રકરણમાં કેવાં નાટકો ભજવવાં સરળ અને કેવાં અઘરાં તેનું વર્ગીકરણ આપતાં નોંધ્યું છે કે સુખાંત : જેના સંવાદોમાં નર્મ અને મર્મ ભરપૂર, ડગલે ને પગલે 'એપિગ્રામ્સ' (ચબરાકિયાં) આવતાં હોય તેવાં નાટકો ભજવવાં મુશ્કેલ હોય છે. શેક્સપિયર અને બર્નાર્ડ શોના નાટકો ભજવવા સહેલા નથી. અભિનયકારના અભિનયથી ઑડિયન્સ પ્રસન્ન થાય છે એમ નથી, પણ એમાં રહેલ સંવાદોના કૌશલ્યથી પ્રસન્ન થાય છે. કરુણાંત અથવા દુઃખાંત નાટકોમાં ભાગ લેનારમાં વાતાવરણ જમાવવાની અચ્છી તાકાત જોઈએ અને