પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિવેદન

નાટકના વિવેચનના આ અભ્યાસને નિમિત્તે નાટકના રમ્ય સ્વરૂપની ઝાંખી થઈ. નાટક એ સાવ જ ઉપેક્ષિત સ્વરૂપ નથી તેનો ખ્યાલ આવ્યો. દરેક વિવેચકના નાટક સાથેના અનુબંધ મુજબ નાટક વિશેની તેમની અવધારણા શૈલી ઘડાતી અનુભવી. વિવેચન કેટલું બધું વ્યક્તિસાપેક્ષ અને પરંપરાથી પ્રભાવિત છે તેનો ખ્યાલ પણ આવ્યો.

ડૉ. સતીશ વ્યાસનું માર્ગદર્શન મને આ વિવેચનાનાં વિવિધ પરિમાણોનો પરિચય કરાવે છે. ઘણીવાર નહીં ઉકલતા કોયડા જેવા સિદ્ધાંતોના વિનિયોગની પ્રવિધિને તેમણે સહજ સ્પર્શ માત્રથી સ્પષ્ટતામાં રૂપાંતરિત કરી આપી છે. ડૉ. સતીશ વ્યાસના સ્નેહથી જ આ જ્ઞાનદીપ પ્રજ્વલિત છે એ વાત વીસરી શકાતી નથી.

જેમની પાસે હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય-કલા-વિચારની શિક્ષા-દીક્ષા પામ્યો છું તે અધ્યાપક મિત્રોને હૃદયપૂર્વક યાદ કરું છું. શ્રી વિશ્વનાથ પવારે કાળજીપૂર્વક શોધ નિબંધને ટાઇપ કરી આપ્યો અને ઝીણવટથી પ્રૂફ વાંચી આપ્યું અજિત મકવાણાએ. આ બંને મિત્રોનો આભારી છું.

સમરું છું આ મિત્રોને

વાસંતી, તન્વી – નરેશ, નવનીત, અશોક, કિન્નરી-નિધિ, પછાડ મિત્રો અને એ સહુ સ્નેહી-સ્વજન મિત્રોને વિદ્યાર્થીમિત્રોને જેમણે મારી સર્જક-ભાવક ચેતનાને ઝંકૃત કરી જાગતી રાખી છે.

-દીપક ભટ્ટ