પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન૬૯
 

સમીક્ષા પામ્યું છે. ક્યાંય નાટકના નાટ્યતત્ત્વની ચર્ચા થતી સાંભળવા મળતી નથી. ૧૯૩૦માં 'અભિનય કલા' ન. ભો. દિવેટિયા એ પછી ૧૯૩૮માં 'ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ યાને વ્યવહારોપયોગી અભિનય' ફિરોજશાહ મહેતા નાટ્ય અભિનય વિશે વિસ્તૃત ચર્ચા કરે છે. અન્ય વિદ્વાનો પણ નાટકચર્ચામાં નાટ્ય વિશે પરોક્ષરૂપે વિચાર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભજવાતા નાટક કે રંગભૂમિ સાથેનો પ્રત્યક્ષ અનુભવ નહીં હોવાથી તેના વિશે અધિકારપૂર્વક ચર્ચા કરી શક્યા નથી. નવી રંગભૂમિના પ્રાગટ્ય સાથે ચંદ્રવદન મહેતા, કનૈયાલાલ મુનશી નવાં નાટકો આપે છે. જયંતિ દલાલનાં નાટકો પણ ભજવાતાં. ચંદ્રવદન મહેતા અને જયંતિ દલાલ બંને નાટ્યલેખકો જ નહીં નાટ્યસમીક્ષકો યથાર્થ રીતે હતા. પહેલવહેલી વાર નાટકના પ્રયોગને ધ્યાનમાં રાખીને તેમણે નાટકની સમીક્ષા, અવલોકન વિવેચન કર્યા છે.

જયંતિ દલાલ (૧૯૦૯-૧૯૭૦)

જયંતિ દલાલ નાનપણથી જ મંચ સાથે જોડાયેલા રહ્યા હતા. જૂની રંગભૂમિનો ખાસ્સો અનુભવ એમણે લીધો છે ને આથી જ તેની વિશેષતા – મર્યાદાઓ વિશે તે સારી રીતે જાણે છે. એમણે નાટક, એકાંકી, નવલકથા, રેખાચિત્ર આદિ સાહિત્ય સ્વરૂપોમાં કામ કર્યું છે. તેમનું નાટ્યવિવેચન 'કાયા લાકડાની માયા લૂગડાંની' અને 'નાટક વિશે' એ બે પુસ્તકોમાં સંગ્રહાયેલું છે. તેમણે વિવિધ સામયિકોમાં લખેલા લેખો પ્રસંગોપાત્ત લખાયેલા અહેવાલ આદિ આ બંને સંગ્રહમાં પ્રકાશિત થયા છે. 'કાયા લાકડાની'માં તેમણે પ્રેક્ષકની દૃષ્ટિએ નાટક શું છે તેની ચર્ચા ચલાવી છે. નાટક નિહાળવાનો આનંદ એ લેખમાં રંગભૂમિની પ્રસ્તુતિની વિવિધ પદ્ધતિઓ – સાંકેતિક, વાસ્તવિક અને અતિરંજિત અભિવ્યક્તિની સાથે પ્રેક્ષકોની મુશ્કેલી મૂંઝવણ આદિને યથાર્થ નિરૂપી છે. આ સર્વેમાંથી નાટક કેવું હોવું જોઈએ તે તો નોંધે છે સાથે પ્રેક્ષક પણ નાટક જોવા જાય ત્યારે કેવો તૈયાર હોય છે તે પણ મહત્ત્વનું છે એમ માને છે.' નાટક કીમિયો છે પણ ખરો કીમિયાગર તો પ્રેક્ષક છે. ૫૭ નાટ્યકાર જે સંઘર્ષ મંચ પર નિરૂપે છે તે માની-મનાવી લેવાનો આગ્રહ પ્રેક્ષક પાસે રાખે છે. પ્રેક્ષકે પણ મંચ પર ભજવાતું સાંકેતિક કે વાસ્તવિક કે અતિરંજિત પણ માની મનાવી લેવાનું હોય છે. 'જેટલે અંશે માની લ્યો, મનાવી લ્યોની આ અજબ રમત રમી જાણી એટલે અંશે આનંદની પ્રાપ્તિ.' અંતે નાટક જોવાના-નિહાળવાના આનંદને બહ્માનંદના સાક્ષાત્કાર અનુભવ સાથે સરખાવે છે. એરિક બેન્ટલીએ પિરાન્દેલોના નાટ્યસંગ્રહને Naked Mast નામ આપ્યું છે 'મોટું તો ખરું પણ મુખભાવને, સુંદરતાને, કુરુપતાને ઢાંકતું નહીં છતું કરતું' એટલે નાટક નિહાળવાથી મળતો આનંદ એક નાટક-પ્રેક્ષકની સહિયારી ઉપલબ્ધિ છે એમ માને