પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૭૧
 


ઉર્દૂ અંગ્રેજી રંગભૂમિની અસરો ઝીલીને જે આત્મઘાતી પગલું ભર્યું હતું તેનીય ચિંતા વ્યક્ત કરે છે. રંગભૂમિનાં સો વર્ષમાં આપણે એક નાટક સિદ્ધ નથી કરી શક્યા તેવો ધ્વનિ તેમના આ લેખમાંથી નીકળે છે. અમદાવાદનાં નાટ્યગૃહો એ લેખમાં નાટ્યગૃહો બંધાયા પહેલાંની નાટક કરનારાની સ્થિતિ અને પછીની સ્થિતિનો રસપ્રદ ઇતિહાસ આલેખ્યો છે. 'થિયેટર બંધાય તે પહેલાં અમદાવાદમાં ખાસ તો નાગોરી શાળા, પાનાભાઈની વાડી, મગનભાઈની વાડી, એ ત્રણ જગાએ ટોળામાંથી નાટકમંડળી બનવા જતી સંસ્થાઓ કાચા માંડવા બાંધતી. મશાલો, કપાસિયા પર તેલ રેડીને કરવામાં આવતા ભડકા, ચાલીસના વોલસેટ દીવા અજવાળું પાથરતા. અમુક ઊંચાઈએ ગોઠવેલા તરાપા કે પાટો એ રંગમંચ બનતો અને સામે કાં તો આગળના ભાગમાં ખાડો ખોદીને કે પછી પાછળના ભાગને ધૂળ-ઢેફાં નાંખીને ઊંચો કરીને પ્રેક્ષકગૃહ બનતું, આસપાસ તાડછા કે કંતાન ટાઢ કે કોથળાની દીવાલ, ઉપર વળી પર કપડું, વધારે સમૃદ્ધિ હોય તો પતરાં... પ્રયોગ રાતે જ થાય. રજાને કે બીજે દિવસે ખેલ થાય – મેટિની ભજવાય – એ ખ્યાલ માંડવામાં નહોતો પાકાં થિયેટર બંધાયા પછી જ ગોલ્ડન નાઇટ એન્ડ સિલ્વર ડે જેવો ખ્યાલ અમદાવાદમાં આવેલો.'૬૧ જયંતિ દલાલના વિવેચનમાં પહેલી વાર નાટકની પારિભાષાના શબ્દોનો વિનિયોગ થતો અનુભવાય છે. માંડવા નીચે ભજવાતા નાટકની ઘણી સમસ્યાની હતી. એ સમસ્યા કેટલીક જરૂરિયાતોએ જ થિયેટરની શોધ કરી. નાટક સંભળાવું જોઈએ, નાટક દેખાવું જોઈએ અને નાટક સમજાવું જોઈએ. આ ત્રણ મુખ્ય બાબતોને આધારે ફેરફારો આવ્યા. ૧૮૯૪-૯૫માં પહેલું નાટ્યગૃહ 'આનંદભવન' બંધાયું જેમાં ડાહ્યાભાઈ ધોળશાજીની દેશી નાટક સમાજ મંડળી નાટકો કરતી હતી. તે પછી 'ગેઈટી થિયેટર', 'શાંતિભવન', ૧૯૨૧-૨૨માં 'ભારતભવન' અને 'માસ્ટર થિયેટર' બંધાયાં અને કાળક્રમે તેમાં ટોકિઝ બની. આના કારણે 'નાટક ધંધા તરીકે જીવતું પણ લગભગ મરવાની આળસે'. 'આજે તો નાટક માટે સમ ખાવાનુંય થિયેટર નથી. અમદાવાદનાં નાટ્યગૃહોએ એક નવી વિચિત્રતા પણ દાખવી છે. નાટ્યગૃહો હતાં ત્યારે નાટક ન હતું, નાટક આજે નાટ્યગૃહોમાં આવું આવું કરે છે ત્યારે નાટ્યગૃહો નથી.'૬૨ 'અહીં તેમની ચિંતા નાટ્યગૃહોની જ નથી. તેના પર ભજવાતા નાટક અને પ્રેક્ષક વચ્ચેના સેતુની છે. નાટક માટેના જ તેવા નાટ્યગૃહની તેમની અપેક્ષા કેવી છે તે જોઈએ ! 'નાટક જોવા પ્રેક્ષકો ન મળે એ દશા નથી રહી. પ્રેક્ષકો આવવા આતુર લાગે છે. અને એવે વખતે અમદાવાદમાં જરૂર છે જેને Intimet Theatre કહેવાય ભંજવનાર અને જોનાર વચ્ચેના અંતરને સાવ ઓછું બનાવી દેવાય એવા નાટ્યગૃહની. એક જ પંગતે આખાય અમદાવાદને નાટક બતાવી દેવાનો ખ્યાલ કલ્પના જ ગણાય.’૬૩ નાટ્યગૃહની તેટલી અપેક્ષા આજેય ક્યાં તોષાય છે ?