પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

પ્રેક્ષક અને નાટક વચ્ચેનું અંતર વધતું રહ્યું છે ત્યાં સુધી કે આજે મહદ્અંશે નાટકના નામે અવકાશ પ્રવર્તે છે.

નાટકમાં પ્રવેશરચના વિશે તેમનો લેખ છે. તેઓ માને છે કે પ્રવેશ રચનાએ નાટકની અવદશા કરી છે. આપણે ત્યાં રસ વૈવિધ્યને કારણે આરંભમાં પ્રવેશરચનાની અપેક્ષા વધી હતી. એક જ નાટકમાં વધારેમાં વધારે રસની પ્રતીતિ કરાવવાના આશયથી નાટકમાં નાટ્યકારે પ્રવેશ રચના સ્વીકારી પરંતુ આમ એક પ્રવેશોમાં વીખરાઈ જતી હોવાથી નાટકની ચોટ કરવાની શક્તિ સમાપ્ત થઈ જતી. એ વાતની ચિંતા તેમણે વ્યક્ત કરી છે. પ્રવેશ રચનાના હેતુ, આશયો પાછળ નાટકની સિદ્ધિ જ નહીં પણ ભળતી જ કોઈ બાબત કામ કરી રહી છે એમ તેમનું માનવું રહ્યું છે. 'પાત્ર યા પરિસ્થિતિના વિકાસની અલગ શ્રેણી બતાવવા પ્રથમથી જ અલગ તરી આવે એવા પ્રવેશ કે દૃશ્યની રચના અનિવાર્ય થઈ પડે છે. આ જ વસ્તુને જરા આગળ લઈ જઈએ એમાંથી પ્રવેશ પરંપરા ઊભી થાય છે.'૬૪ જોકે નાટકમાં રંગભૂમિ પર વિદેશી નાટ્ય રચનાની અસર ઘણી પ્રબળ છે, એમાંય ગુજરાતી નાટક પર શેક્સપિયરકાલીન પ્રવેશરચનાની ઊંડી અસર છે. ક્યારેક દૃશ્યવૈવિધ્ય માટે, ક્યારેક રસવૈવિધ્ય માટે ને ક્યારેક ચોક્કસ નટને કેન્દ્રમાં રાખી તેના પાત્રને ઉપસાવવા માટે પ્રવેશરચનાનો પ્રયોગ નાટ્યકાર કરે છે. જેના કારણે નાટકનો જે મૂળ આશય છે તે સિદ્ધ થતો નથી, એમ જે કહ્યું છે તે યથાર્થ છે.

એકાંકીકાર યશવંત પંડ્યા વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. જેમાં તેમનાં એકાંકી પૂર્વે પારસી રંગભૂમિ પર ભજવાતી રમૂજી સ્ક્રીપ્ટ આદિની ચર્ચા છેડી છે. યશવંતભાઈનાં એકાંકી તો ભોંય ભાંગનારાં એકાંકી છે એમ માને છે. એ પછી 'નેપથ્ય'માં એકાંકી વિશે તેના સ્વરૂપ, સંજ્ઞા વિશે વિસ્તૃત શાસ્ત્રીય ઐતિહાસિક તથ્યોને સાથે લઈ ચર્ચા કરી છે. તેમાં એકાંકી ક્યાંથી કેમ પ્રગટ્યું અને તેનાં ગુણલક્ષણો અંગે વિસ્તૃત છણાવટ કરી છે. એકાંકીના આરંભથી લઈને તેના વિકાસપ્રયોગ વિશેનો ધ્યાનપાત્ર આલેખ એમણે આપ્યો છે. ખરેખર તો એકાંકીના સ્વરૂપની વિભાવના તેમણે વ્યક્ત કરી છે. એકાંકી અને લઘુનાટક વચ્ચેનો ભેદ પ્રગટ કરી એકાંકી કઈ રીતે વિશિષ્ટ છે તે તારવી આપ્યું છે. એકાંકીને ભારતીય નાટ્ય પરંપરાના ભાણ, વ્યાયોગ, ઉત્સૃષ્ટિકાંક, વેશ આદિ લઘુનાટ્ય પ્રકારો સાથે મૂકી જોયા છે. પરંતુ આ નવા સાહિત્ય- પ્રકારને માટે મર્યાદાવાળા લાગે છે. એકાંકી તેના સ્વરૂપમાં ઘણી શક્યતા લઈને પ્રગટેલો પ્રકાર છે. જયંતિ દલાલ તેનો સમગ્રતાથી પરિચય કરાવે છે. વિદેશી એકાંકી – લઘુનાટકોના ઉદાહરણ સાથે તેના સ્વરૂપની શક્યતાઓને જાણી જોવાનો પ્રયત્ન છે.

'સ્વાધ્યાય'માં જયંતિ દલાલ નાટક વિશેની વિવિધ કરામતો વિશેની સમજને