પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધી યુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૭૯
 

આવે તો વિશેષ યોગ્ય થાય, કારણ કે લોકભોગ્ય નાટકોમાં લોકોની સારી તથા નરસી વૃત્તિઓનું આલેખન હોય છે, તેથી શિષ્ટ પ્રકૃતિના વિવેચકોને અશિષ્ટતાની ગંધ આવે તો નવાઈ નહીં !૬૬ આગળ ઉપર નાટકોને દૃશ્યકાવ્ય કહે છે અને પછી ગદ્ય સાહિત્યસ્વરૂપો સાથે તેની સરખામણી કરે છે ત્યાં તેઓ હજી સ્પષ્ટ થયા નથી. 'વાચ્ય અને રંગભૂમિનાં નાટકોનો ભેદ રાખ્યા સિવાય નાટ્યલેખન વખતે રંગભૂમિને નાટ્યલેખક નજરસમક્ષ રાખે તો જ વિશેષ ઇચ્છનીય બને, કેમકે નાટકની અન્ય ગદ્યસ્વરૂપોની સરખામણીએ મહત્તા એથી જ છે.૬૭

'રંગભૂમિ અને સાહિત્યિકતા બંનેનો સમન્વય ઇચ્છનીય છે' એમ જે કહે છે તે યોગ્ય જ છે. નાટકનું કાર્ય માત્ર લોકરુચિને સંતોષવાનું જ નહીં, પરંતુ લોકોત્કર્ષનું પણ છે, તેમ માને છે. બીજા પ્રકરણમાં નાટકની ઉત્પત્તિ વિશે વિવિધ સિદ્ધાંતો, દંતકથાઓની ચર્ચા કરી છે. ભારતીય મત પ્રમાણે ધાર્મિક માન્યતા અને પાશ્ચાત્ય મત પ્રમાણે માનવીની અનુકરણશીલવૃત્તિ અને શ્રી જયનાથ 'નલિન'નો મત-માનવીની આત્મપ્રસારણ વૃત્તિ નાટકની ઉત્પત્તિ માટે જવાબદાર છે - તેમ માને છે.

'ભારતીય નાટ્યકળા'માં નાટકની સંસ્કૃત વિચારણા અનુસાર અર્થ, પ્રકૃતિ, સંધિ, વૃત્તિઓ, પાત્રભેદ, સંવાદશૈલી, અભિનયના પ્રકાર વિશેની જાણીતી પ્રચલિત નોંધ આપી છે.

પાશ્ચાત્ય નાટ્યકળામાં મુખ્યત્વે એરિસ્ટોટલના ટ્રેજેડીના વિચારને આલેખે છે. પાશ્ચાત્ય અને ભારતીય મતની તુલના કરી નાટકને સમજવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. 'નાટક' વિશેના જુદા જુદા મતો જેવા કે નાટક 'અનુકરણ' છે, નાટક 'જીવનની સમીક્ષા' કરે છે આદિ વિચારો વિશેની ચર્ચા કરી છે, ને તારણ પર આવતાં કહે છે કે 'સારું નાટક તો એ છે જે સામાજિકને આનંદની ચરમ સીમા પર લઈ જઈને જીવનની સાચી અને પરિપૂર્ણ ઝાંખી કરાવે. આ અર્થમાં જ નાટક જીવનનું અનુકરણ કરી જીવનની સમીક્ષા કરે છે અને આ સમીક્ષામાંથી જીવનનો જીવંતપરિચય સામાજિકને પ્રાપ્ત થાય છે. (પૃ.. ૧૨૩ નાટ્યસ્વરૂપ) નાટકના પ્રાણતત્ત્વ વિશેની ચર્ચામાં તેમણે રસ અને સંઘર્ષ બંનેની સહિતતાને યોગ્ય માની છે. 'નાટકરૂપી રથ', 'રસ' અને 'સંઘર્ષ' એ બે પૈડાંથી ઊભો છે એ બે તત્ત્વો વિના નાટક લોકોમાં આદર ન પામે એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ.૬૮

પછીના પ્રકરણમાં રૂપક – ઉપરૂપકના પ્રકારો વિશે ઝીણવટભરી વિગતો નોંધી છે. નાટક, પ્રકરણ, અંક, વ્યાયોગ, ભાણ, સમવકાર, વીથી, પ્રહસન, ડિમ, ઈહામૃગ આદિ રૂપકોની વિશેષતા – ભિન્નતાની ચર્ચા કરી ઉપરૂપકો ૧૮ જેટલાં