પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન


સાહિત્યમાં ઘણું પરિવર્તન આ યુગમાં આવે છે. સાહિત્ય અને વિવેચનના ક્ષેત્રમાં નવા પ્રસ્થાન થયાં. કૃતિ, સર્જન, પ્રસ્તુતિ આદિ બાબતે સભાનતાપૂર્વકની પ્રવૃત્તિ આરંભાઈ, સ્વાતંત્ર્યોત્તર કાળમાં લખાતાં-ભજવાતાં નાટકોમાં અભિવ્યક્તિરીતિ બદલાય છે. પરંપરાગત ઢબે લખાતાં ભજવાતાં નાટકોની સમાંતરે જ આ એક નવો પ્રવાહ – નવાં સંવેદનોને નવા આકારોમાં રજૂ કરવાના પ્રયત્નો - વહેતો થયો. વિશ્વમાં ચાલતાં કલાઆંદોલનોથી પ્રભાવિત થઈ સંવેદનશીલ સર્જકોએ નવું લાગતું બધું જ ગુજરાતી નાટકમાં – સાહિત્યમાં લાવવાના પ્રયત્નો કર્યા. નાટક અન્ય સાહિત્યસ્વરૂપો કરતાં વધારે જીવતું સ્વરૂપ હોવાથી અને તેનો લેખક કે નાટ્યકાર આ રીતે સંવેદનશીલ હોવાથી નાટકમાં નવી વાત જલદી પહોંચી. અલબત્ત, જેટલી ઝડપથી આ નવાં સંવેદનો ઝિલાયાં એથી થોડા સમય માટે પણ સંવેદનો જીવાયા હોત તો કદાચ નાટકને અને સાહિત્યને પણ ચિરકાલીન પ્રતિભાઓનો લાભ મળ્યો હોત.

નાટક આમેય અન્ય સ્વરૂપો કરતાં વધારે જીવંત સમાજ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું હોવાથી સમાજ પર પડતી અસરોનો પ્રતિશબ્દ મંચ પર કે નાટ્ય પર પડે જ છે. અલબત્ત, અહીં થોડું જુદું થયું. સમાજ પર જે કલા આંદોલનોની ભાગ્યે જ કશી અસર પડી હતી તેની અસરમાં આવીને આપણે ત્યાં તીવ્ર સંવેદનશીલતા ધરાવતા સર્જકોએ વિદેશી ભૂમિ પર જન્મેલા નિર્વેદ, અસ્તિત્વવાદ, ઍબ્સર્ડ આદિની સંવેદનાને અનુભવવા – વ્યક્ત કરવા માંડી. એ જ પ્રક્રિયામાંથી નીપજી આવેલા 'લીલા-નાટ્ય'માંથી સારા - નવા વિષય, સંકુલતા, કુંઠાને વ્યક્ત કરતા એકાંકી નાટકો નિપજી આવ્યા. જોકે હવે લાંબા નાટકોની સરખામણીમાં એકાંકી વધારે લખાય છે.

આ દરમિયાન નાટકના વિવેચનની સ્થિતિ કેવી છે ? નાટ્યવિવેચનના નવા આદર્શો ઊભા થવાની શક્યતા હોવી જોઈએ. જેમણે વિદેશી નાટ્યને ધ્યાનમાં રાખી