પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૮૩
 


નાટકો લખ્યાં છે, તેમણે તેમનાં નાટકોને જોનારાએ તે નાટકોની વિવેચનાનો વિચાર કદી કર્યો જ નથી એમ જણાય છે. નાટક વિશે આ પૂર્વે જયંતિ દલાલ, જ્યોતીન્દ્ર દવે આદિએ જે પ્રયોગ, સિદ્ધાંત વિવેચનનો આરંભ કર્યો હતો તેમાં કશું નવું ઉમેરાવાની શક્યતા બહુ ઓછી જણાય છે. નાટક બદલાતું રહ્યું છે. તેનું નવું રૂપ આકર્ષક લાગે છે. છતાં નાટકના વિવેચકોની પાસે એ પ્રકારની સજ્જતા નથી કે નવા 'થિયેટર વિધાન'ને સમજી-સમજાવી કે તેના વિવક્ષિત અર્થને પામી-૫માડી શકે. પરિવર્તનોને સમજવા માટે તે તે વિષયને સમજવાની તૈયારીવાળા સમીક્ષકો ઓછા છે. હવેનાં નાટકો સજ્જતા માગે છે ત્યારે સમીક્ષક પાસે તૈયારી જ નથી. એ જ પરાપૂર્વની ચાલી આવતી પદ્ધતિએ – સાહિત્યિક માપદંડે જ તે નાટકને મૂલવે છે.

અલબત્ત, 'સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટ્યવિવેચનની બે ધારાઓ વહે છે, એક છે જે પરંપરાગત ઢબે કૃતિલક્ષી, પ્રતકેન્દ્રી સાહિત્યિક રીતે મૂલ્યાંકન કરે છે, અને બીજી ધારા ભજવાતા નાટકને ભજવણીને કેન્દ્રમાં રાખે છે. કેટલાક સમીક્ષકો બંને વિચારને સાથે રાખીને ચાલે છે. આધુનિક સંવેદનાએ સાહિત્ય અને નાટકના ક્ષેત્રને પ્રભાવિત કર્યું પણ વિવેચન – એમાં નાટ્યવિવેચન પર તેની અસર જણાતી નથી. સુરેશ જોષી આદિએ ટૂંકી વાર્તા, નવલકથા કે કવિતા વિવેચન વિશેષ પ્રભાવક અસર જન્માવી પરંતુ નાટ્યવિવેચને તેમણે સ્પર્શ ભાગ્યે જ કર્યો છે. નાટ્યવિવેચન આમેય આરંભકાળથી જ ઉપેક્ષિત રહ્યું છે તેના કારણે નાટ્યવિવેચકો આપણને ભાગ્યે જ મળશે.’

આ સ્વાતંત્ર્યોત્તરકાળમાં નાટક વિશેના વિવેચનમાં થોડુંક પરિવર્તન અવશ્ય આવે છે. ગૃહિતો, હેતુ બદલાય છે. નાટક બદલાયું, તેની પ્રસ્તુતિનાં ધોરણો બદલાયાં, નવી રીત, નવા વિષયો, નવી સંવેદના, જુદા જ અભિગમોથી નાટક વ્યક્ત થવા માંડ્યું. ભલે આ બધી જ નવાઈમાં આપણા સ્વદેશના મૂળભૂત પ્રશ્નોની અસર નહોતી. છતાં નાટકને વિદેશી વિચારો અને પ્રયોગોથી શણગારવાના પ્રયત્નો આપણા નાટ્યકારો આ સમય દરમ્યાન કરે છે. 'એબ્સર્ડ' આપણામાં ભળે છે, જોકે રંગભૂમિ પર સિદ્ધ થતું નથી. આપણે રંગભૂમિ અને નાટક વચ્ચેની ખાઈ હજી પૂરી શક્યા નથી. રંગકર્મીઓ અને નાટ્યકારોએ પણ 'ટીમવર્ક' પેઠે કામ કરવાના પ્રયત્નો બહુ ઓછા દાખલામાં કર્યા છે. નાટક જ ભજવાય છે પણ હવે દીર્ઘ નાટકો નથી લખાતાં. દ્વિઅંકી-ત્રિઅંકી આંગળીના વેઢે ગણાય એટલા મૌલિક નાટકો આપણને સાંપડે છે. એકાંકી લખાયાં, ભજવાયાં પણ ખરાં છતાં નાટ્ય વિવેચકની કે સમીક્ષકની હરયુગ જેમ જ અહીં પણ પ્રતીક્ષા રહી છે.

ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર (૧૯૧૮)

'નાટ્યકલા'માં નાટક વિશેનાં પાંચ વ્યાખ્યાનો સંગૃહીત કર્યા છે. નાટક વિશે