પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

તેમણે સૈદ્ધાંતિક – તાત્ત્વિક ચર્ચા-વિચારણા કરી છે. ભજવાતાં નાટકોની સમીક્ષા તેમની પાસેથી નથી મળતી. ધીરુભાઈ ઠાકર 'નાટ્યકલા'માં નાટકની ઉત્પત્તિ આરંભ કરીને રજૂઆત સુધીનો તેનો વિકાસ ક્રમ આલેખે છે. સાથે નાટક અને શિક્ષણ, નાટક અને સમાજ આદિ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે. તેઓ માને છે કે નાટક મંચ પર જ પૂર્ણતા પામતું સ્વરૂપ છે. સાહિત્યથી એ માત્ર એક જ વાતે અલગ પડે છે અને તે છે ક્રિયાને પ્રેરતો શબ્દ. નાટકના સાહિત્ય સ્વરૂપને તેમણે મહત્ત્વનું ગણ્યું છે. અભિનયને એ વિશેષ આવશ્યક મહત્ત્વનો માને છે.

'નાટ્યકલા'માં સંગૃહીત થયેલાં પાંચ વ્યાખ્યાનોમાં નાટકનો સાહિત્ય અને શિક્ષણ સાથે સંબંધ તથા પ્રવૃત્તિ તરીકે ત્રણેનો પરસ્પર સંબંધ કેવો છે તે સમજાવવાનો ઉપક્રમ પહેલા પ્રકરણમાં કર્યો છે. 'નાટક અને લેખક' એ બીજા પ્રકરણમાં નાટકના સાહિત્યસ્વરૂપનો વિકાસ એ નાટ્યલેખન બાબતની અપેક્ષાઓની. ચર્ચા કરી છે. ત્રીજા પ્રકરણ 'નાટક અને દિગ્દર્શક' માં રંગભૂમિ પર નાટ્ય નિર્માણ માટે દિગ્દર્શકે શું શું કરવું પડે છે તેનો ખ્યાલ આપ્યો છે. 'નાટક અને નટ' એ ચોથું પ્રકરણ નટની ગુણવત્તા અને અભિનયના વિવિધ પ્રકારો તથા સંપ્રદાયોનો પરિચય કરાવે છે. છેલ્લા 'નાટક અને પ્રેક્ષક'માં પ્રેક્ષકની યોગ્યતા, નાટકના કક્ષાભેદ અને નાટ્યપ્રયોગ પરીક્ષા આદિ બાબતોની ચર્ચા કરે છે. આ પાંચેય પ્રકરણોમાં માત્ર તાત્ત્વિક ચર્ચા જ નથી પરંતુ દૃષ્ટાંતરૂપે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી નાટકોની રસપ્રદ ઘટનાઓ પણ આવે છે.

'નાટ્યકલા'નાં પાંચ પ્રકરણોમાં ધીરુભાઈ ઠાકરે નાટકને સમજવા - સમજાવવા સર્વાંગી સમીક્ષા કરી છે. નાટક માટે નટ-પ્રેક્ષક કેટલા મહત્ત્વના છે તેની વાત કરી છે પરંતુ નાટક અને સમાજ કે શિક્ષણનો સંબંધ શું છે કે શું હોવો ઘટે તેની ચિંતા તેમણે પહેલા પ્રકરણમાં કરી છે. નાટકની તાલીમથી આત્મશ્રદ્ધા. સાથે વિચાર, વર્તન ને વાણીની શિસ્ત આવે છે.' નાટક દ્વારા શિક્ષણ અપાય તો તે વધારે અસરકારક રહે છે તેમ માને છે. બીજા પ્રકરણમાં નાટક અને રંગભૂમિને લગતા કલાસિદ્ધાંતોનો વિચાર કરે છે. આલેખ-પ્રત-નાટ્યલેખ વિના નાટકની શક્યતા કેટલી ? એ પ્રશ્નની સાથે જ નાટકમાં શબ્દના મહત્ત્વની ચિંતા વિવિધ વિદ્વાનોનાં અવતરણઓ સાથે કરે છે. નાટ્યકલાના નિષ્ણાત એડવન ગાર્ડન ક્રેગને નોંધે છે 'મારે નાટક માટે લખાણની જરૂર નથી.' 'ધી આર્ટ ઑવ ધી થિયેટર' નામના પુસ્તકમાં નાટકનું માધ્યમ શબ્દ નથી, ક્રિયા છે, એ મતલબનું વિધાન ક્રેગનું છે. એનો અર્થ એ થયો કે નાટક માટે શબ્દ એ આવશ્યક નથી. ક્રેગ કહે છે કે 'શબ્દના સાધન વિના, કેવળ ક્રિયાના માધ્યમે મારે જે અભિનિત કરવું છે તે કરી શકીશ' 'થિયેટરની ભાષા'નો આ આખોય વિવાદ છે. જોકે ધીરુભાઈ ઠાકર તો ક્રેગના વિચારને વ્યક્ત