પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૭ ]


જેવો અને ખ્રિસ્તનો સાચો સેવક લિયો ટૉલ્સટોય પ્રેમનો જ સંદેશો જગત સમક્ષ ધરીને, શાશ્વત પ્રેમવિશ્વમાં ભળવાને આપણી વચ્ચેથી હમણાં જ વિદાય થાય છે. સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ જેવા પ્રેમાત્મા દેશવિદેશમાં પ્રેમધર્મની જ અદ્દભુત મંત્રણાના અહાલ્લેક ગજાવે છે, એ આજની જ વાત છે. બાબા પ્રેમાનંદ ભારતીએ છેક પાતાળમાં સ્થાપેલા શ્રીકૃષ્ણના પ્રેમમંદિરની ભક્તિગર્જના અને પ્રેમની પર્યેષણાના જયઘોષ સ્વદેશી-વિદેશી તમામ ભાંડુઓનાં આકાશમાં ગાજતા આપણે હરરોજ સાંભળીએ છીએ.

પરમાત્મા પ્રેમસ્વરૂપ છે અને તેની પ્રાપ્તિ ભક્તિદ્વારા જેટલી સરળતાથી થઈ શકે તેટલી સરળતાથી કેવળ જ જ્ઞાન કે યોગદ્વારા થઈ શકે નહિ, એ વાત ચોક્કસ ભાર મૂકીને દુનિયાને વારંવાર પ્રેરિત મહાત્માઓ જણાવે છે. નરસિંહ અને મીરાં–પરમપ્રેમભક્ત–ગુજરાતમાં મશહૂર છે. એમના અનુભવોદ્ગારમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ ઓતપ્રોત છે. તેઓ કેટલીક સદી પહેલાં થયાં, પણ જાણીતા પ્રેમભક્ત દયારામભાઈ તે છેક હમણાં જ, એટલે ઈ. સ. ૧૮પર માં જ સ્વર્ગવાસી થયા. 'જૂની ગુજરાતી' માં પ્રેમધર્મનાં લલિત સંગીત ગાનાર તેઓ છેલ્લા છે.

ગુજરાતી સાહિત્યમાં 'નવી કવિતા'નો આરંભ થયો, તે પહેલાં પ્રેમ, પ્રેમભક્તિ અને પ્રેમના દર્દની આર્ત્તચીસ ગુજરાતે દયારામના દર્દી જિગરમાંથી સાંભળેલી. પ્રેમઘેલા દયારામે તે વખતના ગુજરાતને પણ ઘેલું બનાવેલું, એમ એમની કવિતા પરથી લાગ્યા વિના રહેતું નથી. સુપ્રસિદ્ધ કવિ નર્મદ કે જેના હૃદયનો મંત્ર 'પ્રેમશૌર્ય' અને 'પ્રેમભક્તિ' છે, તેણે પ્રેમભક્ત દયારામની વાજબી કદર કરેલી અને ઘણી તકલીફ લઈને એ વિરલ હૃદયના જીવનની હકીકત મેળવેલી–તેની કવિતા પણ સંગ્રહિત અને સંશોધિત કરીને ગુર્જરીને ખેાળે ધરેલી. પ્રેમધર્મના